આજથી રાજ્યભરમાં ધોરણ-૧૦ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે, ત્યારે વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક અને તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેવા હેતુથી વડોદરા શહેરના વોર્ડ-૫ના કોર્પોરેટર તેજલબેન વ્યાસ દ્વારા એક પ્રેરણાદાયી આયોજન સરદાર સ્કૂલ, નવજીવન સોસાયટી, આજવા રોડ ખાતે યોજવામાં આવ્યું હતું.
પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓને તેજલબેન વ્યાસ અને સાથી કાર્યકર્તાઓ દ્વારા કુમકુમ તિલક કરી અને ચોકલેટ આપી મોં મીઠું કરાવાયું હતું.

ઉપરાંત માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, પણ વાલીઓને પણ તેમના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને કારકિર્દીના સંદર્ભમાં ઉપયોગી માહિતી પૂરી પાડતા પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કોર્પોરેટર તેજલબેન વ્યાસે જણાવ્યું હતું કે, “બોર્ડની પરીક્ષા એ વિદ્યાર્થીઓના જીવનનો એક મહત્વનો પડાવ છે. બાળકો કોઈપણ પ્રકારના ડર વગર આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપે તે માટે અમે આ નાનકડો પ્રયાસ કર્યો છે.”

આ કાર્યક્રમમાં વોર્ડના સાથી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તમામ પરીક્ષાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

