વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં દશામાના વ્રત દરમિયાન એક મંદિરમાં સાંઢણીની આંખોમાંથી ઘી નીકળતું હોવાની એક ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. એ પછી આ ઘટના સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની હતી અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા માટે આ મંદિરમાં આવવા લાગ્યા હતા. પરંતુ હવે આ આખી ઘટના બોગસ હોવાનું સામે આવ્યું છે અને મંદિરની ભૂઈએ રૂપિયા કમાવા માટે પુત્ર સાથે મળીને આ તરકટ રચ્યું હોવાનો પર્દાફાશ થયો હતો.

સમાન્ય વ્યક્તિ પણ સમજી જાય કે, માટીની બનેલી સાંઢણીના આકારની પ્રતિમામાંથી કદી ઘી નીકળે નહીં પરંતુ ધર્મના નશામાં ભાન ભૂલેલી ભીડ આ ઘટનાને તાર્કિક દ્રષ્ટિકોણથી જોવાને બદલે તેને માતાજીનો ચમત્કાર સમજીને દર્શન કરવા માટે ઉમટી પડી હતી. હવે વિજ્ઞાન જાથાની ટીમે આ મંદિરમાં પહોંચીને તપાસ કરતા આખો મામલો બોગસ હોવાનું સામે આવ્યું છે.
આ મંદિરની ભૂઈએ લેખિતમાં કબૂલાત આપી છે કે, તેણે જ સાંઢણીની આંખોમાંથી ઘી વહેતું હોવાનું નાટક ઉભું કર્યું હતું. જેથી વધુને વધુ લોકો મંદિરમાં દર્શન કરવા આવે અને દાનપેટીમાં રૂપિયા નાખે, જેથી તેને આખા વર્ષની કમાણી થઈ જાય અને કશો કામ ધંધો ન કરવો પડે. ભાંડો ફૂટી જતા દશામા મંદિરની ભૂઈએ લેખિતમાં માફી માંગીને પોતે આ ધતિંગ ઉભું કર્યું હોવાનું સ્વીકાર્યું હતું. સાથે જ, હવે પછી ક્યારેય પોતે અંધશ્રદ્ધા ફેલાવી લોકોની ધાર્મિક લાગણીઓનો ફાયદો ઉઠાવશે નહીં તેની ખાતરી આપી હતી.
વિજ્ઞાન જાથાએ તપાસ કરતા આ તરકટ બહાર આવ્યું હતું એ પછી આ બંને ઢોંગીઓ ભાંગી પડ્યા હતા અને પોતાના ગુનાની કબૂલાત કરી લીધી હતી. એ પછી વિજ્ઞાન જાથાની ટીમે વડોદરા પોલીસ કમિશનર, ડેપ્યૂટી પોલીસ કમિશનર, પાણીગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ એ.બી પટેલ, એસપી ભરવાડ, મહિલા પોલીસ તથા પોલીસ કર્મીઓની હાજરીમાં આ તરકટના પર્દાફાશમાં મદદ કરી ભૂઈ સીતાબા ગોહિલ અને તેના પુત્ર સતિષસિંહની અટકાયત કરાવી હતી.

