સામાન્ય સભામાં કોર્પોરેટરો દ્વારા અધિકારીઓની નિષ્ક્રિયતા સામે સેંકડો સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. જે બાદ ગતરોજ પાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા દ્વારા અધિકારીઓની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં તેમણે અધિકારીઓનો રીતસરનો ઉઘડો લઇ નાંખ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. સાથે જ કેટલાક કામોની ગુણવત્તાની સમીક્ષા ખુદ મ્યુનિસિપલ કમિશનર કરશે, અને જો કોઇ પણ બેદરકારી જણાશે તો અધિકારીને નોટીસ ફટકારશે તેમ જાણવા મળી રહ્યું છે.

કોર્પોરેટરોએ અધિકારીઓ વિરૂદ્ધ અવાજ ઉઠાવ્યો
વડોદરામાં પાલિકાના અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધીઓનું નથી સાંભળતા, આ વાતનું અનેક વખત સામે આવી ચુકી છે. પરંતુ આ સમસ્યાનો કોઇ પણ કાયમી સ્તરે નિકાલ આવી શક્યો નથી. તેવામાં હવે પાલિકાની ચૂંટણીને એક વર્ષ જેટલો સમય બાકી છે, ત્યારે સ્થાનિકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે કોર્પોરેટર ઉગ્ર બની રહ્યા છે. તાજેતરમાં મળેલી પાલિકાની સામાન્ય સભામાં કોર્પોરેટર દ્વારા એકસુરે અધિકારીઓ વિરૂદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. જે બાદ ગતરોજ પાલિકા કમિશનર દિલીપ રાણાની અધ્યક્ષતામાં અધિકારીઓની મહત્વની બેઠક મળી હતી. જેમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા અધિકારીઓનો રીતસરનો ઉઘડો લીધો હતો.
વડોદરા મ્યુનિસિપલ કમિશનરે કોર્પોરેટરો દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોને લઇને આકરા સવાલો પુછ્યા હતા. જેના જવાબો આપવામાં અધિકારીઓને પરસેવો વળી ગયો હતો. સ્મશાનગૃહ, રસ્તાઓ, સાફ સફાઈ, હેલ્થ સેન્ટર સહિતના પ્રશ્ને કમિશનરે આકરૂ વલણ અપનાવ્યું હતું. કમિશનરે અધિકારીઓને સ્પષ્ટ કદી દીધું છે કે કેટલીક કામગીરીની પોતે સ્થળ તપાસ કરશે અને ત્યાર બાદ જો તેમાં કોઇ પણ પ્રકારની કચાશ જણાઇ આવી તો અધિકારીઓને નોટીસ ફટકારવામાં આવશે. કમિશનરના આકરા તેવર જોતા કોર્પોરેટરોના પ્રશ્નો ગણતરીના સમયમાં ઉકેલ આવશે કે કેમ તે જોવાનું રહ્યું!!

