પંકજ પંડિત
હાલ ઝાલોદ નગરમાં ભીલ સેવા મંડળના પ્રાંગણમાં રહેતા ઈલાબેન દેસાઈ સને 1965 માં ભીલ સેવા મંડળમા જોડાયેલ અને હમણાં 85 વર્ષની ઉમર હોવા છતાંય તેઓ સક્રિય રીતે જોડાયેલ છે. ઝાલોદ તાલુકામા 1965 થી 1924 એટલે કે 59 વર્ષ થી તેઓ અવિરત પણે નારી સન્માન, વિકાસ તેમજ તેમને ન્યાય અપાવવા માટે અનેક સકારાત્મક કાર્યો કરેલ છે. સરકાર દ્વારા આદિજાતિ સેવક સંઘને ઝાલોદ જેવા વિસ્તારોમાં નારી વિકાસ અને તેમને પગભર થવાના પ્રોજેક્ટ આપતી, તે પ્રોજેક્ટ આદિજાતિ સેવક સંઘ દ્વારા ઈલાબેન દેસાઈને આપવામાં આવતા હતા. તેઓને મળેલ દરેક પ્રોજેક્ટમા તેઓ ઉમદા કામગીરી કરી પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપતા હતા.તેમજ ઉપરોક્ત કાર્ય માટે ફંડ અપૂરતું હોવા છતાં લોક સહયોગ અને લોકફાળા દ્વારા સફળતા પૂર્વક કામગીરી પૂર્ણ કરેલ હતી. ઈલાબેન સાથે વાતચીતમાં તેઓએ વધુમાં કહ્યું હતું કે તેમને જે તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી રહેલા નરેન્દ્ર મોદી દ્વારા પણ ઉત્તમ કામગીરી માટે સન્માનીત કરવામાં આવેલ હતા.
શરૂઆતમા તબક્કામાં ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ દ્વારા આ વિસ્તારમાં મહિલાઓના ઉત્કર્ષ માટેના કાર્ય કરવા માટે મોકલવામાં આવ્યા હતા. તે સમયે લાઈટ, રોડ, વાહન તથા ઈન્ફ્રાસ્ટ્રકચર જેવી અપૂરતી સેવાઓ હોવા છતાંય ઇલાબેને પોતાની શ્રેષ્ઠ અને ઉત્તમ કામગીરી કરી હતી. ઈલાબેનની ઉત્કૃષ્ટ કામગીરી અને સેવાકીય કાર્યોને જોઈ અનેક સંસ્થાઓ દ્વારા ઈલાબેનને વિવિધ મોમેન્ટો અને પ્રમાણપત્રો આપી તેમની કામગીરીને બિરદાવવામા આવી હતી.
શરૂઆતના સમયમાં ઈલાબેનને કોઈ સરકારી સહાય મળતી ન હતી પરંતુ તેઓ હિંમત હાર્યા વગર દાતાઓ પાસેથી મદદ મેળવી સતત સારી કામગીરી આ વિસ્તારમાં કરતા રહેલ છે.ઈલાબેન દેસાઈ પોતાની ઉત્કૃષ્ટ અને ઉત્તમ કામગીરી કરી આ વિસ્તારની નારી શક્તિની પ્રગતિ માટે આદિજાતિ સેવક સંઘમાં જોડાયા હતા. તેઓનુ મૂળ વતન નવસારી જિલ્લાના અમલસાડ ગામ છે જે લગભગ ઝાલોદ થી 380 કિલોમીટર દૂર છે. હવે તેમને આ વિસ્તારમાં 59 વર્ષ થઈ જતાં અહીંયા રહેતા લોકો સાથે સારી આત્મીયતા કેળવાઈ ગઈ હોઈ તેઓ વતન ખૂબ ઓછા જાય છે અને અહીંયા રહી આજે 85 વર્ષની ઉંમર હોવા છતાં પણ સારી કામગીરી બજાવી રહેલ છે. આદિજાતિ સેવક સંઘના 75 વર્ષ પૂર્ણ થતાં દિલ્હી ખાતે પ્લેટેનિયમ જ્યુબિલી સેલિબ્રેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં આદિજાતી સેવક સંઘમા દાહોદ ખજાનચી તરીકેની શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ ઈલાબેન દેસાઈને રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં એવોર્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ હતા. ઈલાબેનની કામગીરી મહિલાઓ માટે એક આદર્શ તેમજ પ્રેરણારૂપ બનેલ છે. ઝાલોદ સીમાવર્તી બ્રહ્મ સમાજ દ્વારા તેઓની ઉત્તમ કામગીરી અને રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં મળેલ એવોર્ડ અને સન્માન માટે ઈલાબેન દેસાઈને પુષ્પ ગૂચ્છ અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
ઇલાબેન દેસાઈ એક નીડર,ઈમાનદાર મહિલા કાર્યકર્તા તરીકે આ સમગ્ર વિસ્તારમાં જાણીતા છે.તેમના અથાક મહેનત થકી ઉપરોક્ત વિસ્તારની મહિલા ઓને કાયદાકીય રીતે ન્યાય તેમજ આર્થિક રીતે પગભર થવા માટેની ઉત્કૃષ્ટ કામગીરી હાલ પણ બજાવી રહેલ છે.સીમાવર્તી બ્રહ્મ સમાજના પ્રમુખ વિજયભાઈ પંડિતે સરકાર દ્વારા ઇલાબેન કે જેઓ એક સંનિસ્ટ,ઈમાનદાર તેમજ દેશ સેવામાં સંકળાયેલા મહિલા કાર્યકર્તાને ઉચ્ચ મહિલા એવોર્ડ મળે તેવી આશા વ્યક્ત કરી હતી.જેથી નારી શકતીનું સન્માન તેમજ અન્ય મહિલાઓ માટે એક ઉદાહરણ મૂકી શકાય અને અન્ય મહિલાઓને આવા સામાજિક કાર્યમાં જોડાવા માટે પ્રેરણારૂપ થાય.બ્રહ્મ સમાજના મંત્રી પંકજભાઈ પડિત તેમજ સમાજના વડીલ એવા કૌસિકભાઈ દવે , પિનાકીન ભાઈ ઉપાધ્યાય ,જીતુભાઈ આચાર્ય તેમજ મનોરમાબેન ઉપાધ્યાય દ્વારા શાલ ઓઢાડી ઇલાબેનને સન્માનિત કરવામાં આવ્યા હતા

