નરેન્દ્રભાઈ મોદી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સરકારી પ્રાથમિક શાળાઓ સાથે ગામ લોકોને અને લોકોની ભાવનાને જોડવા તિથિ ભોજન યોજવા સૂચન કર્યું હતું. વિચાર એવો હતો કે જન્મ દિવસ, લગ્ન દિવસ જેવા શુભ પ્રસંગો પરિવારો પ્રાથમિક શાળામાં આવીને વિદ્યાર્થીઓ સાથે ઉજવે. એ નિમિત્તે બાળકોને મીઠાઈ સહિત ઉમદા ભોજન પીરસાય. વિદ્યાર્થીઓને શિક્ષણમાં ઉપયોગી નોટબુક્સ, પુસ્તકો અથવા શિયાળામાં સ્વેટર જેવી ભેટ આપવામાં આવે.તેનાથી ગામ અને સમાજ શાળા સાથે જોડાય અને સરકારી પ્રાથમિક શાળાઓમાં ભણતા, મોટેભાગે ગરીબ અને નબળાં પરિવારોના બાળકોને આનંદનો અવસર મળે. પ્રસંગની ઉજવણી સાર્થક અને યાદગાર બને.
તાજેતરમાં આ શાળામાં થી સરકારી નોકરી પૂરી કરીને નિવૃત્ત થયેલા પૂર્વ આચાર્ય નરેન્દ્રભાઈ ચૌહાણે આ નરેન્દ્ર વિચારને વાયદપૂરા પ્રાથમિક શાળાની એક પરંપરા બનાવી દીધી. આજે તેઓ ભલે વિદાય થયા. પરંતુ આ પરંપરા તેમના અનુગામી શિક્ષકો આજે પણ આગળ વધારી રહ્યા છે. હવે નરેન્દ્રભાઇ એક શુભેચ્છક તરીકે આ શાળામાં નિયમિત તિથિ ભોજન યોજાતા રહે તે માટે મદદરૂપ બને છે.
વડોદરા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ૨૦૨૩ – ૨૪ ના વર્ષમાં ૧૦૦૭ જેટલા તિથિ ભોજન યોજવામાં આવ્યા. જેમાં વાયદપૂરા પ્રાથમિક શાળા ૫૦ જેટલા તિથિ ભોજન સાથે મોખરે રહી છે. ૨૦૨૪ – ૨૫ ના વર્તમાન વર્ષમાં ૨૩ જેટલા તિથિ ભોજન યોજાઈ ચૂક્યા છે. તેનો મતલબ એ થયો કે આ શાળામાં મહિનામાં લગભગ ચાર વાર તિથિ ભોજનનો આનંદ ઉત્સવ ઉજવાય છે અને વિદ્યાર્થીઓ ને ભણવા સાથે મોઢું મીઠું કરવાનો અવસર મળે છે. અને માતાપિતા જે બચ્ચાઓ નો જન્મ દિવસ આ બહુધા વંચિત બાળકો સાથે ઉજવે છે. એમને વહેંચીને ખાવાના, સહૃદયતાના ઉત્તમ સંસ્કાર મળે છે. એટલે જ આ શાળાના વિદ્યાર્થીઓ કહે છે કે, ‘ અમારી શાળામાં ભણવાની તો મજા આવે જ છે તેની સાથે જમવાની પણ લહેર પડે છે ‘.
કહેવાય છે કે ભૂખ્યા પેટે ભજન ના થાય. એટલે કે ભૂખ્યા પેટે ભક્તિ ના થાય અને પેટમાં ભૂખ હોય તો ભણવાનું મન પણ ના થાય. એના ઉકેલ રૂપે રાજ્ય સરકારે મધ્યાહન ભોજન યોજના હેઠળ શાળામાં ભોજનનો પ્રબંધ કર્યો છે. ત્યારે અવાર નવાર યોજાતા તિથિ ભોજન એનામાં મિજબાનીનો ભાવ ઉમેરે છે. ભોજનની આ સગવડને લીધે બાળકો નિયમિત શાળામાં આવે છે અને એમની તંદુરસ્તી સાચવવામાં મદદ મળે છે.
વાયદપૂરા પ્રાથમિક શાળામાં તિથિ ભોજન ઉપરાંત રોજનું મધ્યાહન ભોજન વધુ સ્વાદિષ્ટ અને પોષક હોય છે. તેનું કારણ એ છે કે, આ શાળામાં છેલ્લા ૨૦ કરતા વધુ વર્ષોથી ‘ પોષણ ઉદ્યાન ‘ એટલે કે શાળા શાકવાડી ઉછેરીને જાત જાતના શાક ઉછેરવામાં આવે છે અને તેનો ઉપયોગ ભોજનની સાથે સલાડ અને શાકની વાનગીઓ પીરસવા માટે કરવામાં આવે છે. આ આગવી પરંપરા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇએ શરૂ કરી હતી. જે વર્તમાન શાળા પરિવાર આગળ વધારી રહ્યો છે.
આ શાળાના શિક્ષક સમુદાયે એટલી તો શાખ ઊભી કરી છે કે દાતાઓ સામે ચાલીને આ શાળાને અને વિદ્યાર્થીઓને ગરમ કપડાં થી લઈને વિવિધ ભેટો વિવિધ પ્રસંગોને નિમિત્ત બનાવીને આપતાં જ રહે છે. તાજેતરમાં જ દિવાળીની રજાઓ પછીની મિજબાનીના રૂપમાં શાળામાં વિનાયક મોટર્સના સહયોગથી વેકેશન પછીનું પહેલું તિથિ ભોજન યોજવામાં આવ્યું હતું.
તિથિ ભોજન નરેન્દ્ર વિચાર છે. જેને બીજા નરેન્દ્રએ વાયદપૂરાની પ્રાથમિક શાળામાં ધરાતલ પર ઉતાર્યો છે. શિક્ષણની સાથે બાળકો માટેની સંવેદનાથી શાળા સાથે સમાજને જોડવાનો માર્ગ આ પ્રાથમિક શાળાએ બતાવ્યો છે. આવા અનેક કર્મયોગી શિક્ષકો ગુજરાતની અને દેશની શાળાઓમાં છે. જેઓ મૂક રહીને શિક્ષણની સાથે સમાજ ઘડતરનું કામ કરતાં જ રહે છે.
પીએમ પોષણ યોજનાના જિલ્લા પુરવઠા અધિકારી શ્રીમતી ગીતા દેસાઇ જણાવે છે કે, મૂળભૂત રીતે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત શાળાએ જતાં બાળકોના આરોગ્ય અને શૈક્ષણિક પ્રગતિ માટે વર્ષના ૨૦૦ દિવસ સુધી ગરમ અને પોષણપ્રદ ભોજન આપવાનો ધ્યેય છે. જેની સરખામણીમાં વાયદપુરા પ્રાથમિક શાળામાં ૨૦૦ દિવસો પૈકી વર્ષમાં ૫૦ દિવસ એટલે કે, ૨૫ ટકા મધ્યાહન ભોજન જનભાગીદારી થકી તિથી ભોજન અંતર્ગત આપવામાં આવે છે. જ્યારે, ચાલુ વર્ષમાં વડોદરા જિલ્લામાં ૧,૫૦,૭૭૭ બાળકો માટે કુલ રૂ. ૨૮,૮૯,૭૨૨ ની રકમના ૨૧૧ તિથિ ભોજન યોજવામાં આવ્યા છે.
તમારો કે તમારા પત્નીનો, માતા કે પિતાનો, સંતાનોનો જન્મ દિવસ, તમારી લગ્ન તિથિ ક્યારે છે ? જ્યારે પણ હોય એક વિચાર નજીકની સરકારી પ્રાથમિક શાળામાં જઈને વંચિત પરિવારોના બાળકો સાથે એ આનંદ ઉત્સવ ઉજવવાનો વિચાર અવશ્ય કરજો. નક્કી આપનો પ્રસંગ યાદગાર બની જશે.

