રાજ્યસભા સાંસદશ્રી ડૉ.જસવંતસિંહ પરમારના અધ્યક્ષસ્થાને પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લાના આઈ.ટી.આઈ.આચાર્યશ્રી સાથે જિલ્લાઓમાં ચાલતા વિવિધ કૌશલ્ય વિકાસના કાર્યક્રમોની સમીક્ષા, ચર્ચા અને માર્ગદર્શન માટે આઈ.ટી.આઈ. ગોધરા ખાતે બેઠક યોજાઇ હતી.

આ પ્રસંગે સાંસદશ્રીએ ત્રણેય જિલ્લામાં ચાલતી વિવિધ યોજનાઓની સમીક્ષા કરી, આગામી સમયમાં આઈ.ટી.આઈ. અપગ્રેડેશન માટે ઉદ્યોગ એકમો સાથે મળીને ઉચ્ચતમ કૌશલ્ય વિકાસના કાર્યક્રમોના અસરકારક અમલીકરણની કામગીરી કરવા ઉપર ભાર મૂક્યો હતો.
ઉપરાંત સાંસદશ્રીએ આઈ.ટી.આઈ.,ગોધરા તથા ગોધરા મહિલા આઈ.ટી.આઈ.ના વિવિધ ટ્રેડ, વર્કશોપની મુલાકાત કરી ઇન્સ્ટ્રકટર તથા તાલીમાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. તેમજ આગામી સમયમાં આઈ.ટી.આઈ.માં નવીન ક્ષેત્રોને લગતા કોર્ષ ચલાવવા અંગે સૂચન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વડોદરા રીજીયન નાયબ નિયામકશ્રી એ.આર. શાસ્ત્રી , દાહોદ આઈ.ટી.આઈ. આચાર્ય શ્રી ડી.પી. મકવાણા , ગોધરા આઈ.ટી.આઈ. આચાર્યશ્રી ડી.જે. વરમોરા અને અન્ય ગ્રાન્ટ ઈન એઇડ, સેલ્ફ ફાઇનાન્સ, સરકારી આઈ.ટી.આઈ.ના આચાર્યશ્રી તથા ઉદ્યોગ એકમોના પ્રતિનિધિઓ હાજર રહ્યાં હતા.

