૧૬મી નવેમ્બરને રાષ્ટ્રિય પ્રેસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વડોદરા જિલ્લામાં આજરોજ રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગર અને પ્રાદેશિક માહિતી કચેરી વડોદરાના સંયુક્ત ઉપક્રમે ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ વડોદરા રેન્જ શ્રી સંદીપસિંઘની અધ્યક્ષતા હેઠળ ધારાસભા હૉલ ખાતે ‘પત્રકારત્વ અને સામાજિક દાયિત્વ’ વિષય પર પ્રેસ સેમિનાર યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે મુખ્ય વક્તા શ્રી સંદિપ સિંઘે ઉપસ્થિત પત્રકાર ગણ ને સંબોધન કરતા જણાવ્યું કે વર્ષ ૨૦૨૪માં રાષ્ટ્રીય પ્રેસ દિવસ ‘પ્રેસના બદલાતા સ્વરૂપ ‘ થીમ સાથે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે દેશમાં પત્રકારોની સ્વતંત્રતા સાથે જવાબદારી અને જવાબદેહિતા બન્નેમાં વધારો થઈ રહ્યો છે. આ પ્રસંગે ઉપસ્થિત તમામ પત્રકારોને પક્ષપાત અને પૂર્વગ્રહથી મુક્ત પત્રકારત્વ કરવા માટે અપીલ કરી હતી.

વધુમાં ઉમેરતાં શ્રી સંદીપસિંઘે જણાવ્યું કે કાયદો અને વ્યવસ્થાપન, જિલ્લાના વહીવટમાં તથા લોકોમાં મંતવ્યો બનાવવામાં પત્રકાર મિત્રો ખુબજ મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. મને ફરજના તમામ સ્થળોએ મીડિયાનો સહયોગ મળ્યો છે અને ઘણાં કેસો ઉકેલવામાં મિડીયાનો સહયોગ ઉપયોગી બન્યો છે એવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી.
વધુમા ઉમેરતાં શ્રી સંદિપ સિંઘે જણાવ્યું કે ભારતીય સંઘ લોક સેવા આયોગ આયોજિત પરીક્ષાઓ ઉત્તમ કારકિર્દી ઘડતર માટે મહત્વની ગણાય છે.દેશના પ્રમુખ અખબારોનું વાચન યુ.પી.એસ.સી. ની પરીક્ષાઓમાં સફળતામાં નિર્ણાયક બની રહે છે.
જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હીરપરાએ ભારતીય સ્વતંત્રતા ચળવળ ની સફળતામાં કલમ ના યોગદાનને નિર્ણાયક ગણાવતા જણાવ્યું હતું કે મહાત્મા ગાંધી થી લઈને સ્વતંત્રતાની લડાઈના મોટાભાગના પ્રમુખ સેનાનીઓએ કલમનો આ લડાઇમાં હથિયાર તરીકે ઉપયોગ કર્યો અને કોઈને કોઈ પ્રકાશન સાથે સંકળાયેલા રહ્યા.
વધુમા જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ જણાવ્યું કે રાષ્ટ્રીય, રાજકીય કે સામાજિક બધાજ પ્રકારના કાર્યક્રમો તથા સામાન્ય જન ને સ્પર્શતા મુદ્દાઓને કવર કરતા પત્રકારોને આજે સન્માનવાનો દિવસ છે. આ સાથે હકારાત્મક પત્રકારત્વ થકી વડોદરા શહેર તથા દેશને વિકાસમાં દરેક પત્રકાર યોગદાન આપે તે માટે પ્રાસંગિક અપીલ કરી હતી.
અત્રે નોંધનીય છે કે મીડિયા લોકોના અભિપ્રાયને આકાર આપવામાં, વિકાસને આગળ વધારવામાં અને સત્તાને જવાબદાર ઠેરવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. પ્રગતિ માટેના એક શક્તિશાળી સાધન તરીકે પ્રેસ પૂર્વગ્રહથી મુક્ત રહે અને જનતાને માહિતગાર કરવા અને શિક્ષિત કરવાની તેની ફરજ નું સમર્થન કરે છે. સમાજમાં મીડિયાના મહત્વપૂર્ણ યોગદાનને સન્માનિત કરવા ના ઉદ્દેશ્યથી દર વર્ષે ૧૬મી નવેમ્બરના રોજ રાષ્ટ્રીય પ્રેસ દિવસ ઉજવવામાં આવે છે. આજ રોજ સમાજમાં મુક્ત અને જવાબદાર પ્રેસની આવશ્યક ભૂમિકા સન્માન કરવામાં આવે છે.
રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણી ભાગરૂપે પ્રાદેશિક માહિતી કચેરી ,વડોદરા આયોજિત પરિસંવાદ સહ પ્રેસ સ્નેહમિલન પ્રસંગે બંને મહાનુભાવોએ રાષ્ટ્રીય અને સામાજિક પરિપ્રેક્ષ્યમાં પ્રેસની ભૂમિકા,પરંપરાગત પ્રેસ થી લઈને તેનું હાલનું વ્યાપક અને બહુઆયામી સ્વરૂપ, સોશિયલ મીડિયાના ઉદભવ થી આવેલા ક્રાંતિકારી પરિવર્તનો અને કલ્યાણ રાજ્યની કલ્પના સાકાર કરવામાં પ્રેસના સહયોગ અને સંકલન પર પ્રકાશ પાડ્યો હતો.L
પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને ગુજરાત પ્રેસ અકાદમીના સહયોગથી યોજવામાં આવેલા આ કાર્યક્રમનું સહાયક માહિતી નિયામક શ્રી દર્શન ત્રિવેદીએ સંચાલન કર્યું હતું. પ્રારંભે સંયુક્ત માહિતી નિયામક શ્રી હેતલ દવે એ મીડિયા મિત્રો અને મહેમાનોને રાષ્ટ્રીય પ્રેસ દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવવા સાથે સૌ ને આવકાર્યા હતા.
કોઠી બિલ્ડિંગ ના ભવ્ય અને ઐતિહાસિક ધારાસભા ખંડમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રાદેશિક માહિતી કચેરી ના અધિકારી તથા કર્મચારીગણ અને મોટી સંખ્યામાં મીડિયા મિત્રો ઉત્સાહભેર ઉપસ્થિત રહીને શુભેચ્છાઓ નું આદાન પ્રદાન કર્યું હતું.

