પંકજ પંડિત
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ગરાડુંના ગાઢ જંગલમાં આવેલું પ્રાચીન અને પૌરાણિક જાનમારિયા મહાદેવ મંદિર શ્રાવણ માસ દરમિયાન શિવભક્તો માટે આસ્થાનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. ચોમાસાની ઋતુમાં અહીં ચારેય બાજુ હરિયાળી અને કુદરતી સૌંદર્ય વચ્ચે વહેતો ધોધ મંદિરની ભવ્યતામાં વધારો કરે છે. આ અદ્ભુત વાતાવરણને માણવા અને ભગવાન શિવના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે.આ મંદિરનું નામ “જાનમારિયા” પડવા પાછળ એક રસપ્રદ લોકવાયકા જોડાયેલી છે. એવું મનાય છે કે એક સમયે આ વિસ્તારમાંથી એક વરરાજા પોતાની જાન સાથે પસાર થઈ રહ્યા હતા. અચાનક આખી જાન વરરાજા સહિત રહસ્યમય રીતે ગાયબ થઈ ગઈ. આ ઘટના બાદ મંદિરનું શિવલિંગ પણ ગાયબ થઈ ગયું હતું. આ પૌરાણિક કથાને કારણે આ મંદિરનું નામ જાનમારિયા મહાદેવ પડ્યું છે. આ મંદિર પાંડવકાલીન સમયનું હોવાનું પણ માનવામાં આવે છે.શ્રાવણ મહિનામાં ભગવાન શિવની ભક્તિ અને આરાધનાનું વિશેષ મહત્વ છે. જાનમારિયા મહાદેવ મંદિરમાં આવતા ભક્તોને કુદરતી વાતાવરણની સાથે સાથે પ્રાચીન ઇતિહાસની અનુભૂતિ પણ થાય છે. ભક્તો શિવલિંગ પર જળ અને દૂધ ચઢાવી પૂજા-અર્ચના કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.

