સંકેત પંડ્યા – એડિટર
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ એક પછી એક સરકારી કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓ અને રજુઆતો સાથે મેદાને ઉતર્યા છે. બે થી ત્રણ મહિનાની સમય મર્યાદામાં વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા સૌ કોઈ સંગઠન પોતાની તાકત બતાવવા મેદાને ઉતર્યા હોય તેમ દેખાય રહ્યુ છે. એક તરફ સત્તાપક્ષ એડી ચોટીનું જોર લગાવી મેદાને ઉતરી પડ્યું છે, જ્યારે બીજી તરફ કોંગ્રેસ પોતાના તખ્તા ગોઠવવા લોક સંપર્કમાં જોતરાઈ ગયું છે. તેમજ દિલ્હી અને પંજાબમાં પોતાનો ડંકો વગાડનાર કેજરીવાલે ગુજરાતને પોતાનું આશ્રય સ્થાન બનાવી લીધું છે. કેજરીવાલના ગેરંટી કાર્ડને લઈને ફરતાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ગામ, શહેર સહિત સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી દીધી છે. આમ રાજકીય ત્રિપાંખિયામાં ઘેરાયેલું સત્તાપક્ષ ભાજપ ગમે તે કાળે સત્તા સાચવી રાખવા મહેતન કરી રહ્યું છે.
હાલમાં જ તલાટીઓ શાંત પડ્યા અને હવે આંગણવાડી કાર્યકરો પણ સરકાર સામે પોતાની માંગણીઓ સાથે મેદાને ઉતરી છે, તેમજ અધૂરામાં પુરૂ આજરોજ ગોધરા ખાતે રાષ્ટ્રીય સંયુક્ત મોરચાની માંગ અનુસાર ગુજરાત રાજ્યમાં નવી પેન્શન યોજનાને સ્થાને જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવા તથા અન્ય પડતર પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવવા માંગને લઈને શિક્ષકો સહિત વિવિધ સરકારી કર્મચારીઓએ રેલી કાઢી હતી.

આ રેલીમાં શ્રી અનિરુધ્ધસિ. પી. સોલંકી (અધ્યક્ષ રાષ્ટ્રીય પ્રાથમિક શિક્ષક મહાસંઘ), શ્રી શરદભાઈ પંડ્યા (મંત્રી રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહા સંઘ ગુજરાત), મેહુલભાઈ સેવક (અધ્યક્ષ પંચમહાલ જીલ્લા આચાર્ય શૈક્ષિક સંઘ) સહિતના તમામ શૈક્ષિક સંઘો ગોધરા ખાતે પહોંચ્યા હતાં. ગોધરાની ન્યુઇરા હાઇસ્કૂલ જાફરાબાદથી લઇ કલેકટર કચેરી સુધી અંદાજે ૮ થી ૧૦ હજાર શિક્ષકો મોટી સંખ્યામાં આ રેલીમાં જોડાયા હતા.

જેમાં મેહુલભાઇ સેવકે જણાવ્યું હતું કે દેશના અન્ય રાજ્યોની સરકાર જુની પેન્શન યોજના લાગુ કરી શકી છે તો ગુજરાતની સંવેદનશીલ સરકારમાં સંવેદના નથી ? વધુમાં તેમણે જણાવ્યુ કહ્યુ હતું કે જો ગુજરાતના મંત્રીશ્રીઓ અને Mlaશ્રીઓને એમ લાગતુ હોય કે જુની પેન્શન યોજના કરતા નવી પેન્શન યોજના સારી છે તો નવી પેન્શન યોજના સરકારને મુબારક અમને જુની પેન્શન યોજના ચાલશે. આમ તમામ શિક્ષકો દ્વારા જુની પેન્શન યોજના ચાલુ કરવા અંગે સુત્રોચ્ચાર કરી કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં આ શિક્ષકો દ્વારા કલેકટરશ્રીને આવેદનપત્ર અપાયુ હતુ અને જો માંગ નહી સંતોષાય તો આગામી દિવસોમાં સરકાર સામે લડી લેવાના મુડમાં છે તેમ જણાવ્યું હતુ.

