ગોધરા:
ગોધરા નગરપાલિકાની આગામી ચૂંટણીઓ પૂર્વે જ વોર્ડ નં. 2 નું રાજકારણ ગરમાયું છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, વોર્ડ નં. 2 માં સ્થાનિક અને સક્રિય ઉમેદવારને બદલે વોર્ડ નં. 3 ના ઉમેદવારને ‘આયાતી’ ટિકિટ આપવામાં આવતા મતદારો અને પક્ષના પાયાના કાર્યકરોમાં ઉગ્ર અસંતોષ ફાટી નીકળ્યો છે.
સ્થાનિક વર્ચસ્વની અવગણના?
નોંધનીય છે કે, વર્ષ 2021 ની નગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ નં. 2 ની સામાન્ય સ્ત્રી બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે લડીને 1155 જેટલા જંગી મતો મેળવનાર મહિલા ઉમેદવાર પ્રાંજલબેન સંકેતકુમાર પંડ્યા એ આ વખતે ભાજપમાંથી ટિકિટની પ્રબળ દાવેદારી નોંધાવી હતી. ગત ચૂંટણીમાં કોઈપણ પક્ષના સિમ્બોલ વગર માત્ર જનસેવાના જોરે આટલા મતો મેળવનાર ઉમેદવારને બદલે અન્ય વોર્ડના વ્યક્તિને થોપવામાં આવતા વોર્ડના રહીશો પોતાનું અપમાન ગણાવી રહ્યા છે.

રહીશોનો આક્રોશ:
વોર્ડ નં. 2 ના મતદારોનું કહેવું છે કે, “અમે એવો પ્રતિનિધિ ઈચ્છીએ છીએ જે અમારા વિસ્તારમાં રહેતો હોય, અમારા સુખ-દુઃખમાં સહભાગી બનતો હોય. વોર્ડ નં. 3 થી આયાત કરેલા ઉમેદવાર અમારા વિસ્તારના પ્રશ્નોને કેવી રીતે સમજી શકશે? પ્રાંજલબેન સંકેતકુમાર પંડ્યા (પત્રકાર) જે ઉમેદવારે અગાઉ અપક્ષ તરીકે ઉભા રહીને પણ હજારો લોકોનો વિશ્વાસ જીત્યો છે, તેમની પક્ષ દ્વારા કરવામાં આવેલી અવગણના પક્ષને ભારે પડી શકે છે.”
ભાજપના મોવડીમંડળને અપીલ:
સ્થાનિક કાર્યકરોમાં ચર્ચા છે કે જો પક્ષ લોકલાગણીને માન આપીને નિર્ણયમાં સુધારો નહીં કરે, તો વોર્ડના રહીશો આવનારા દિવસોમાં આક્રમક વલણ અપનાવી શકે છે. કાર્યકરોની માગ છે કે ‘પેરાશૂટ’ ઉમેદવારને બદલે વિસ્તારમાં પકડ ધરાવતા અને વર્ષોથી લોકોની વચ્ચે રહીને કામ કરતા સ્થાનિક ચહેરાને પ્રાધાન્ય મળવું જોઈએ.

