નર્મદા જિલ્લામાં પાંચેય તાલુકામાં ધોધમાર વરસાદ થયો છે. જિલ્લામાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. સાગબારા તાલુકામાં સેલંબામાં 6 કલાકમાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે. સેલંબાની તરાવ નદીમાં ઘોડાપુર આવ્યું છે જેને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. લોકોના ઘરે સુધી પાણી ઘૂસી આવ્યા હતા. ગામોના અનેક રસ્તાઓ કોઝવેમાં ડૂબી ગયા હતા. સાગબારાનો ચોપાડવાવ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે.
નર્મદા ડેમના 23 ગેટ ખોલી દેવામાં આવ્યા છે. નર્મદા ડેમમાંથી 10 લાખ ક્યુશેક પાણી છોડાતા નર્મદા નદી ગાંડીતુર બની છે. ગઇકાલે બપોરે નર્મદા ડેમના સૌ પ્રથમ 10 ગેટ ખોલવામાં આવ્યા હતા. ત્યારબાદ, તબક્કાવાર કુલ 23 ગેટ ખોલી 10 લાખ ક્યુશેક પાણી છોડાતા નર્મદા નદી કાંઠાના ગામો પ્રભાવિત થયા હતા. રેંગણ, વાસણ ગામ પાસે નર્મદા નદી કિનારે મુકવામાં આવેલ મહાકાય નંદીની પ્રતિમા નર્મદા નદીના વહેણમાં તણાઇ ગઈ હતી. મહત્વનું છે કે, બે વર્ષ અગાઉ રેંગણ વાસણ ગામે નર્મદા કિનારે એક રિસોર્ટ માલિક દ્વારા આ નંદીની મહાકાય પ્રતિમા મુકવામાં આવી હતી. નર્મદા પરિક્રમા કરવા આવતા લોકો નંદી પાસે રોકાઈ ફોટો સૂટ કરી આગળની પરિક્રમા શરૂ કરતાં હતાં.

