પંકજ પંડિત
ગુજરાત કોંગ્રેસની જનઆક્રોશ યાત્રા દાહોદ જિલ્લાના ગુરુ ગોવિંદ લીમડી તાલુકાના ગુરુ ગોવિંદ કંબોઈ ધામ ખાતે પહોંચતા સમગ્ર વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાઈ ગયો હતો. યાત્રાના સમાપન મંચ પરથી ભાજપને મોટો રાજકીય ફટકો લાગ્યો હતો, જ્યારે ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી નેતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ કોંગ્રેસમાં જોડાણ જાહેર કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે મહેશ વસાવા અગાઉ ભારતીય ટ્રાઇબલ પાર્ટી (બી.ટી.પી.) સાથે જોડાયેલા રહ્યા હતા અને ત્યારબાદ 2024માં ભાજપમાં જોડાયા હતા. જોકે, ભાજપની નીતિઓથી અસંતુષ્ટ બની તેમણે વર્ષ 2025માં ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું. રાજીનામા બાદ તેઓ કોઈપણ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા નહોતા અને નિષ્પક્ષ રાજકીય ભૂમિકામાં રહ્યા હતા. આવી સ્થિતિમાં જનઆક્રોશ યાત્રાના મંચ પરથી તેમણે ખુલ્લેઆમ કોંગ્રેસનો હાથ પકડી પોતાની નવી રાજકીય શરૂઆતની જાહેરાત કરી છે.
આદિવાસી સમાજ પ્રત્યે સરકારની અવગણના, વિકાસના ખોખલા દાવાઓ અને લોકવિરોધી શાસન સામે અવાજ ઉઠાવવાની જરૂરિયાત દર્શાવતા મહેશ વસાવાના કોંગ્રેસમાં જોડાણને ભાજપ માટે ગંભીર ચેતવણીરૂપ માનવામાં આવી રહ્યું છે.
જનઆક્રોશ યાત્રા અંતર્ગત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તેમજ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી ગુરુ ગોવિંદ કંબોઈ ધામ ખાતે દર્શન કરી કાળીમહુડી સમાપન સભાના મંચ પર પહોંચ્યા હતા. મંચ પરથી કોંગ્રેસી નેતાઓએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં આદિવાસી સમાજ, ખેડૂતો, યુવાનો અને ગરીબ વર્ગને સતત અવગણવામાં આવી રહ્યો છે. આ અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે જનઆક્રોશ યાત્રા યોજાઈ રહી છે.
કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં યોજાયેલી જનઆક્રોશ યાત્રાનું ગુરુ ગોવિંદ કંબોઈ ખાતે જોરદાર સમાપન થતાં કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં ઉમટેલા જનમેદનિએ સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે હવે ગુજરાતમાં સત્તા સામે જનઆક્રોશ ફાટી નીકળ્યો છે.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે 2025ના રાજીનામા બાદ લાંબા સમય સુધી નિષ્પક્ષ રહેલા મહેશ વસાવાના કોંગ્રેસમાં જોડાણથી છોટા ઉદેપુર–દાહોદ આદિવાસી પટ્ટામાં કોંગ્રેસને નવી મજબૂતી મળશે અને આવનારા સમયમાં રાજ્યની રાજનીતિમાં મોટા ફેરફારની શરૂઆત થશે.

