પંકજ પંડિત
ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે ડી.વાય.એસ.પી શ્રી ડી.આર. પટેલની અધ્યક્ષતા હેઠળ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસ.બી.આઈ) દ્વારા સરકારી કર્મચારીઓ માટે ઉપયોગી વિવિધ વીમા તથા નાણાકીય યોજનાઓ અંગે માહિતીસભર કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે ઝાલોદ એસ.બી.આઈ બ્રાંચના મેનેજર શ્રી નિલેશ ઢૂંઢીયાએ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ તેમજ ઉપસ્થિત સ્ટાફને ભારત સરકાર દ્વારા અમલમાં રહેલી પ્રધાનમંત્રી જન સુરક્ષા યોજનાઓ તથા પી.એમ. જય યોજના અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ઓછા પ્રીમિયમમાં મોટું રિસ્ક કવર, જીવન વીમા પોલિસી, મેડિક્લેમ તથા એસ.આઈ.પી (સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) જેવી યોજનાઓની વિગતવાર સમજ આપી હતી.
બેંક મેનેજરે ખાસ કરીને નોકરી કરતા કર્મચારીઓના સેલેરી પેકેજ અનુસાર કઈ રીતે યોગ્ય વીમા પોલિસી પસંદ કરી શકાય તે અંગે ઉપયોગી માહિતી આપી, જેથી ભવિષ્યમાં પરિવારની આર્થિક સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.
આ કાર્યક્રમ દરમિયાન ડી.વાય.એસ.પી ડી.આર.પટેલ તેમજ પી.આઈ શ્રી રવિ ગામીતે પોલીસ કર્મચારીઓની ફરજ જોખમી હોવાનું જણાવી જણાવ્યું હતું કે, પોલીસ સ્ટાફે પોતાના તેમજ પરિવારના સભ્યોના સુરક્ષાત્મક હિત માટે આવી વીમા અને નાણાકીય યોજનાઓનો લાભ અવશ્ય લેવો જોઈએ.
કાર્યક્રમમાં ડી.વાય.એસ.પી શ્રી ડી.આર. પટેલ, પી.આઈ શ્રી રવિ ગામીત, પી.એસ.આઈ શ્રી શૈલેન્દ્ર સીસોદીયા, પી.એસ.આઈ શ્રીમતી રાધાબેન ડામોર સહિત પોલીસ કર્મચારીઓ, જી.આર.ડી તથા ટી.આર.બીના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને એસ.બી.આઈની વિવિધ સ્કીમો અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.

