સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ગુજરાતના પ્રમુખ શૈલેષ ઠાકર દ્વારા બ્રાહ્મણ સમાજને અપમાનિત કરતા વક્તવ્ય અંગે એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે આજ કાલ કોઈ પણ સમાજ વિશે ટીપણી કરી પાછળથી માફી માંગવી અથવા ફેરવી તોળવું તેમાંય બ્રાહ્મણ સમાજ માટે તો ખાસ આવી એક ફેશન બની ગઈ છે. જાહેર ક્ષેત્રમાં એક સન્માનીય હોદ્દા પર આરુઢ થયેલ વ્યક્તિઓ કોઈ સમાજ અંગે જ્યારે અપમાન જનક ટીપણીઓ કરે ત્યારે સમજી શકાય છે કે આવા વક્તવ્યો ભૂલથી નહી પણ સમજી વિચારીને બોલવામાં આવેલા હોય છે. મને એ નથી સમજાતુ કે આવી ટીપણીઓથી તે પોતે અથવા તે જે સમાજ માંથી આવે છે તેને અથવા તે પોતે જે રાજકીય પાર્ટીમાં હોય છે તેને કેટલો ફાયદો આપશે કે કેટલું નુકશાન કરશે તેની સમજણ નહી હોય ?
જ્યાં સુધી દેવુસિંહને લાગે વળગે છે ત્યાં સુધી તેઓ પોતે સમાજમાં સન્માનનીય કદ ધરાવતી ભણેલ ગણેલ વ્યક્તિ છે આવા વ્યક્તિઓ તરફથી આવી ભાષાનો ઉપયોગ થાય ત્યારે એ વધારે દુઃખદ છે.
બ્રાહ્મણ સમાજના પ્રમુખ તરીકે આ વાતને વખોડવી એટલે કે વિરોધ કરવો એ મારી પ્રાથમિક ફરજનો ભાગ છે હું આશા રાખું છું કે માફી માગવી પડે કે ફેરવી તોળવા પડે તેવા શબ્દોનો ઉપયોગ જેને હું વિદ્વાન સમજુ છું એવા વ્યક્તિઓ હવે પછી ક્યારેય નહી કરે.
વેદ – ઉપનિષદ અને પુરાણો ને ચેલેન્જ કરવાની તાકાત કાળા માથાના પામર માનવી પાસે નથી દેવુસિંહ ભાઈ. બ્રાહ્મણો સમાજને ખોટી દિશામાં લઈ જતા હોય તેવુ જો આપને લાગે છે તો મારી આપને અરજ છે કે આપ પોતે આપનો પરિવાર તેમજ આપના શુભેચ્છકો જે આપની વાત માનવા તૈયાર હોય તે દરેકને આજથી ભૂદેવોને ધાર્મિક કાર્ય માટે ના બોલાવવાનું ફરમાન આપ જાહેર કરી શકો છો.
દેવુસિંહભાઈ આપણે જ સનાતન ધર્મને મજબૂત બનાવવાની વાતો કરીએ છીએ. જેના પાયામાં બ્રાહ્મણો છે તે આપે ભૂલવું ના જોઈએ.

