પંકજ પંડિત
ઝાલોદ નગરપાલિકા દ્વારા નગરના અલગ અલગ વિસ્તારો માથી કચરો લઈ જઈ અનાજ ગોડાઉન પાછળ ઠાલવવામા આવે છે. નગરપાલિકા વિસ્તારનો સમગ્ર કચરો અહીંયા જ નાખી બાળવામાં આવતું હોય છે તેથી આ વિસ્તારની નજીક આવેલ પંચશીલ સોસાયટીના રહીશો દ્વારા આ કચરો અહીંયા ન બાળવા માટે એક અરજી પણ કરવામાં આવી છે. ફક્ત પંચશીલ સોસાયટી જ નહીં પરંતુ આ કચરાને બાળવામાં આવતા આ ઝેરી તેમજ દુર્ગંધ મારતા કચરાનો ધુમાડો બીજી અન્ય સોસાયટીમા પણ જતો હોય છે.આ ઝેરી તેમજ દુર્ગંધ મારતા ધુમાડા થી સોસાયટી વિસ્તારના રહીશોમા ખાંસી તેમજ અન્ય બીમારીઓ એ ઘર કરી લીધું છે. આ કચરાને બાળતા મોટી ઉંમરના રહીશો જલ્દી બીમાર થઈ રહેલ છે. આમ નગરપાલિકાને કચરો ન બાળવા લેખિત તેમજ મૌખિક રજૂઆતો કર્યા બાદ પણ પાલિકા તંત્ર બિલકુલ બે ધ્યાન બની બિન્દાસ રીતે સોસાયટી વિસ્તારના રહીશોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહેલ હોય તેવું લાગી રહેલ છે. પાલિકા તંત્ર આ ગંભીર મુદ્દાને ધ્યાનમાં લઈ રસ દાખવી આ સમસ્યાનું સચોટ નિરાકરણ લાવે તેવું સોસાયટી વિસ્તારના રહીશો ઇચ્છી રહેલ છે. હવે જોવાનું રહ્યું પાલિકા તંત્ર પોતાની આળસ ખંખેરી આ મુદ્દા પર કેટલું ધ્યાન આપે છે.

