નાણાંમંત્રી નિર્મલા સિતારમણે પોતાનું આઠમું બજેટ રજૂ કર્યું છે. જેમાં નાણાંમંત્રી દ્વારા કરદાતાઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. નાણાંમંત્રીએ અપડેટેડ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની મર્યાદા ચાર વર્ષ સુધી લંબાવવાની જાહેરાત કરી છે. જણાવી દઈએ કે, હાલ અપડેટેડ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની સમય સીમા બે વર્ષની છે. જે લોકો સમયસર IT રિટર્ન ફાઇલ નથી કરી શકતા અથવા કંઈક ગડબડ કરી દે છે, તેવા લોકો માટે આ મોટી રાહત છે.
નોકરિયાત વર્ગ માટે મોટી જાહેરાત..
બજેટમાં નોકરિયાત વર્ગ માટે મોટી જાહેરાત કરવામાં આવી. નવી ટેક્સ વ્યવસ્થામાં 12 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. નાણાંમંત્રીએ જણાવ્યું કે, વાર્ષિક 12 લાખ રૂપિયા સુધી આવક ધરાવતા લોકોને કોઈ ટેક્સ ન આપવાથી 80 હજાર રૂપિયાનો લાભ થશે. વળી, વાર્ષિક 18 લાખ રૂપિયાની આવકવાળી વ્યક્તિને ટેક્સમાં 70 હજાર રૂપિયાનો ફાયદો થશે. આ સિવાય RBIની LRS (લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ) હેઠળ TDS કપાતની મર્યાદા 7 લાખ રૂપિયાથી વધારીને 10 લાખ રૂપિયા કરવામાં આવશે.

