બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતા અત્યાચારો વિરૂદ્ધ ગોધરા હિત રક્ષા સમિતિ દ્વારા શહેરનાં સર્કિટ હાઉસ ખાતે સભાનું આયોજન કરાયું હતું. જે બાદ પંચમહાલ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં હિન્દુ સંગઠનો અને આગેવાનો તેમજ મોટી સંખ્યામાં હિન્દુ ભાઈઓ અને બહેનો આ સભામાં ઉપસ્થિત રહ્યા હતા. ‘ચિન્મય કૃષ્ણદાસજીને મુક્ત કરો”, “બાંગ્લાદેશ સરકાર જાગો”, “માનવતા થઈ શરમ સાર, હિન્દુઓ પર અત્યાચાર બંધ કરો” જેવા બેનર સાથે લોકોએ વિરોધ કર્યો હતો.

આવેદનપત્રમાં જણાવ્યા જણાવ્યું હતું કે, બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતા અત્યાચારો વિશે ગંભીર ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને અલોકતાંત્રિક રીતે બરખાસ્ત કર્યા પછી હિન્દુઓ પરના અત્યાચારોમાં ભારે વધારો થયો છે. હિન્દુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને તોડફોડ કરવામાં આવે છે. હિંસા અને હત્યાઓની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે અને ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો થઈ રહ્યા છે. હિન્દુ બહેન, દીકરીઓ, માતાઓ ઉપર અત્યાચારની ઘટનાઓ પણ સામે આવી રહી છે. જેઓની ઈજ્જત આબરૂ જોખમાઈ રહી છે. ત્યારે આ પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે અને આંતર રાષ્ટ્રીય સમાજ માટે પણ શરમજનક છે.
ત્યારે સરકારની જવાબદારી છે કે તે પોતાના નાગરિકોની સુરક્ષા કરે અને કોઈપણ પ્રકારના અત્યાચારોને થતા રોકવામાં આવે. અત્યાચાર ના વિરુદ્ધમાં ઇસ્કોનમાં સંત ચિન્મયકૃષ્ણ દાસજીના નેતૃત્વમાં શાંતિ પૂર્ણ વિરોધ કરતા હિન્દુઓ ઉપર અત્યાચાર કરી સંતને ખોટી રીતે જેલમાં ધકેલી દીધા છે. જે કૃત્ય પણ અમાનવીય છે. ત્યારે અમારી માંગણીઓ છે કે, સંત ચિન્મય કૃષ્ણદાસજીને તાત્કાલિક મુક્ત કરવાનો પ્રયાસ કરવામાં આવે. બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતા અત્યાચારોને તાત્કાલિક બંધ કરાવવા, પીડિતોને ન્યાય અપાવવા અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવી. હિન્દુ ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારવામાં આવે, અત્યાચારોને રોકવા માટે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો કરવો. ત્યારે આ બાબતને ગંભીરતાથી લઇને યોગ્ય પગલાં ભરવા અંગેની માગ કરવામાં આવી.

