સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ
પ્રાપ્ત માહિતી પ્રમાણે પ્રસિદ્ધ થયેલા સરકારી શાળામાં ડિજિટલ પ્રોક્સી કૌભાંડ” ના સમાચાર બાદ શિક્ષણ જગતમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે. પત્રકારત્વના પ્રહારથી ઘેરાયેલા પ્રિન્સિપાલ હવે કાયદાના સકંજામાંથી બચવા માટે ‘રાજીનામા’નો શોર્ટકટ અપનાવી રહ્યા હોવાની વિશ્વસનીય વિગતો પ્રાપ્ત થઈ છે. જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મામલે લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ પણ વિગતો માંગી હોવાથી ભ્રષ્ટ તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
પાપ છુપાવવા રાજીનામાનો દાવ?
મળતી માહિતી મુજબ, પ્રિન્સિપાલ હવે પોતાની નોકરી બચાવવાને બદલે જેલ જવાથી બચવા માટે રાજીનામું મૂકવાની ફાઈલ તૈયાર કરી રહ્યા છે. પરંતુ સવાલ એ છે કે, શું રાજીનામું આપવાથી વર્ષો સુધી સરકારી તિજોરીમાંથી લીધેલો મફતનો પગાર અને બાળકોના ભવિષ્ય સાથે કરેલી રમત માફ થઈ જશે? જાણકારોનું કહેવું છે કે, તપાસથી બચવા માટે આ એક આયોજિત વ્યૂહરચના હોઈ શકે છે.
પ્રોક્સી માસ્તરોમાં પણ ફફડાટ
જે શિક્ષકે પ્રિન્સિપાલની ગેરહાજરીમાં તેમનું આઈ.ડી. વાપરીને હાજરી પૂરતા હતા, હવે તે શિક્ષક પણ કાયદાકીય ગૂંચવણમાં ફસાયા છે. ACB ની તપાસ જો ઉંડાણપૂર્વક થશે, તો આ પ્રોક્સી માસ્તરની નોકરી પર પણ તલવાર લટકી રહી છે. તંત્રમાં ચર્ચા છે કે “સાહેબ તો ડૂબશે, પણ સાથે પ્રોક્સી ભક્તને પણ લેતા જશે.”

