પંકજ પંડિત
કોઈ પણ પક્ષના નેતા આ અંગે આધાર કાર્ડ કઢાવનાર લોકોની સમસ્યા દૂર કરવા આવતા નથી
ઝાલોદ નગરમાં આજરોજ તારીખ 16-11-2024 ના રોજ પોસ્ટ ઓફિસ ખાતે આધાર કાર્ડ કઢાવવા માટે ચપ્પલો મુકી લાઈનમા લાગેલ જોવા મળેલ હતા. ત્યાં સ્થળ પર જઈ તપાસ કરતા લીમડી નગરના કમલેશભાઈ ચાર દિવસથી આધારકાર્ડ માટે આવતા હતા પણ તેમનો નંબર લાગતો ન હતો તેથી તેઓ 15-11-2024 ની રાત્રીના 10 વાગ્યાથી આધાર કાર્ડ માટે ચપ્પલ મૂકી લાઇનમાં લાગેલ હોવાનું માલુમ પડેલ હતું. બીજા બધા ગ્રામીણ વર્ગના લોકોને પૂછતાં તેઓ રાત્રીના 3 વાગે, 4 વાગે આવેલ હોવાનું જણાવી રહેલ હતા.
હાલ નગરમાં ફૂલ ગુલાબી ઠંડી એ જોર પકડેલ છે તેવામાં વહેલી સવારથી ભૂખ્યા તરસ્યા ગ્રામીણ વિસ્તારો માથી પોતાના નાના નાના બાળકોને લઈને આધાર કાર્ડ કઢાવવા આવેલ જોવા મળેલ હતા. આ સમસ્યા છેલ્લા અઠવાડિયા થી ચાલુ છે છતાંય જવાબદાર તંત્ર કોઈ કામગીરી કરતું ન હોય તેવું જોવા મળે છે તેમજ કોઈ પણ રાજકીય વ્યક્તિ પણ આ લોકોની સમસ્યા સાંભળવા તેમજ તેને દૂર કરવા પણ આવેલ નથી. જાહેર જનતાને પડતી દુવિધામા કોઈ પણ પાર્ટીના કોઈને મદદરૂપ નથી થતા કે આ સમસ્યાના નિવારણ માટે કોઈ રજૂઆત પણ કરતા નથી.ઝાલોદ નગરપાલિકામા પહેલા રેગ્યુલર આધાર કાર્ડ અંગેની કામગીરી ચાલતી હતી પરંતુ આ કામગીરી લાંબા સમયથી બંધ છે. હાલ તો પ્રજા ઈચ્છી રહેલ છે કે આધાર કાર્ડ માટે ઠંડીમાં અડધી રાત્રે આવતા લોકોને મળી સમસ્યાનું સમાધાન લાવે તેમજ નગરપાલિકામા ફરીથી આધાર કાર્ડ તેમજ કેવાયસી ની કામગીરી રેગ્યુલર ચાલુ કરે જેથી સામાન્ય જનતાને અગવડ ન પડે.

