પંકજ પંડિત
ઝાલોદ નગરમાં વિશ્વ આદિવાસી દિવસની વાજતે ગાજતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવીતોરલ રાઠવા, કમલેશ બારોટ, ભાવેશ ખાંટ જેવા કલાકારોને જોવા તેમજ સાંભળવાનો અનેરો લ્હાવો ઉપસ્થિત લોકોએ લીધો” 9.ઑગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ, આજે પણ આદિવાસી સમાજના લોકોએ સામાન્ય લોકો થી અલગ પડી પોતાની સંસ્કૃતિ જાળવી રાખી છે. તેમજ તેઓની પરંપરા, પહેરવેશ, ઉત્સવ, પ્રાકૃતિક ઈલાજ, સંસ્કૃતિ, વિવિધ મેળાઓ જેવી પ્રવૃત્તિ થી ભારત વર્ષમા તેમની આગવી છાપ ઉભી કરેલ છે. આજે પણ આદિવાસી સમાજના લોકો પ્રકૃતિ હેઠળ આવતા જંગલ જમીન, પાણી જેવા કુદરતી સ્ત્રોત થી પોતાનું જીવન ગુજરાન ચલાવે છે.
આજરોજ વિશ્વ આદિવાસી દિવસ નિમિતે ભીલ રાજા વસૈયા ચોક પર આદિવાસી સમાજના લોકો ભેગા થયા હતા. ભીલ રાજા વસૈયા ચોક પર પૂજન અર્ચન કરી ડી.જે ના તાલે નગરમાં રેલી કાઢવામાં આવી હતી. આ રેલીનુ મુખ્ય આકર્ષણ તોરલ રાઠવા, કમલેશ બારોટ, ભાવેશ ખાંટ જેવા કલાકારો હતા જેમણે પોતાની ગાયકી થકી ટીમલી ડાંસ તેમજ આદિવાસી સંસ્કૃતિને અનુરૂપ ગીતો ગાઈ સહુના દિલ જીતી લીધા હતા. આદિવાસી સમાજના લોકો દ્વારા રેલીમાં પોતાની સાંસ્કૃતિક ઓળખાણ એવા તીર કામઠા, તલવાર તેમજ વિવિધ શસ્ત્રો લઇ આદિવાસી નૃત્ય કરતા જોવા મળતા હતા. આદિવાસી સમાજના લોકો ખૂબ જ મોટા પ્રમાણમાં આ રેલીમાં જોવા મળતા હતા. જય જોહાર, એક તીર એક કમાન આદિવાસી એક સમાન જેવા નારા સાથે ભીલ રાજા વસૈયા ચોક થી, બસ સ્ટેશન, આંબેડકર ચોક, સ્વર્ણિમ સર્કલ થી મીઠાચોક,શહિદ રાજેશ ચોક, બસ સ્ટેશન થઇ મુવાડા આ રેલી પૂર્ણ કરવામાં આવી હતી. આ રેલીમાં આદિવાસી સમાજના લોકો આદિવાસી સ્વાંગમા સજ્જ થઈ પોતાની સંસ્કૃતિને ઉજાગર કરતા જોવા મળેલ હતા. આદિવાસી સમાજને સંબોધતા સહુ લોકોએ આદિવાસી એક બને તેવું આહ્વાન કર્યું હતું. આદિવાસી દિવસ નિમિતે સ્કૂલ ,કોલેજ મા જાહેર રજા હોવાથી ખૂબ મોટા પ્રમાણમાં રેલીમાં માનવ મહેરામણ જોવા મળ્યો હતો. રેલી દરમિયાન પોલિસ તંત્ર દ્વારા સુંદર ટ્રાફિક સંચાલન કરવામાં આવ્યું હતું.

