દાહોદ : દાહોદ જીલ્લાના દેવગઢ બારીયા તાલુકાના રેઢાણા તળાવ આંગણવાડી કેન્દ્ર ખાતે સી. ડી. પી. ઓ.શ્રી દ્વારા આંગણવાડી કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમ્યાન ત્યાં નવીન કેન્દ્રના બાંધકામ માટેની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. આ દરમ્યાન આંગણવાડી કાર્યકર અને તેડાગરને સી. ડી. પી. ઓ.શ્રી દ્વારા જરૂર પડ્યે અગ્નિશામક યંત્રનો ઉપયોગ કઈ રીતે કરવો એ પ્રેક્ટીકલ થકી શીખવવામાં આવ્યું હતું. આંગણવાડી કેન્દ્રમાં અનેક નાનકડા ભૂલકાઓ આવતા હોય છે જેની જવાબદારી આંગણવાડી તેડાગર તેમજ કાર્યકર બહેનોની હોય છે. જેથી કેન્દ્રમાં રસોડામાં આગ લાગવાના બનાવ બનવાની સંભાવનાઓ રહેલી છે તદુપરાંત શોર્ટ સર્કિટથી પણ આગના બનાવ બનવાની સંભાવનાઓ હોય છે. જેથી આગોતરી તૈયારીના ભાગરૂપે તેમજ કોઇપણ અણબનાવ ન બને તે હેતુથી કાર્યકર અને તેડાગર બહેનોને અગ્નિ શામક યંત્રનો ઉપયોગ કરતા આવડે એ મહત્વનું હોવાથી એ અંગેની પ્રેક્ટીકલ તાલીમ આપવામાં આવી હતી.

