સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ
૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારથી સમગ્ર વિશ્વમાં તા. ૨૧મી જુનના દિવસને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે “સ્વયં અને સમાજ માટે યોગ” થીમ સાથે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી રહ્યુ છે. જેના ભાગરૂપે વડોદરાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પાદરા તાલુકામાં આવેલા પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજની પવિત્ર જન્મભૂમિ એવા ચાણસદ સ્થિત નારાયણ સરોવર ખાતે યોજાયો હતો.

સાંસદ શ્રી હેમાંગ જોષીએ ઉપસ્થિત સર્વને યોગનું મહત્વ સમજાવતા જણાવ્યું કે યોગ એક એવું માધ્યમ છે જે મનુષ્યને આત્મા સાથે જોડે છે. આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લા ૧૦ વર્ષમાં યોગ વિશ્વભરમાં પ્રસર્યું છે તથા પશ્ચિમી દેશો પણ યોગને સ્વીકારતા થયા છે. ત્યારબાદ શ્રી જોષીએ ઉપસ્થિત સર્વને યોગને જીવનનો એક ભાગ બનાવવા માટે અપીલ કરી હતી.
પાદરા તાલુકાના ધારાસભ્ય શ્રી ચૈતન્ય ઝાલાએ ચાણસદ સ્થિત નારાયણ સરોવર ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી અને વિશેષ પ્રસન્નતા વ્યક્ત કરી હતી. વધુમાં ઉમેરતાં ધારાસભ્યશ્રી જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ યોગને વૈશ્વિક ઓળખ મળી છે જેના કારણે આજે કરોડો લોકોને યોગા થકી સ્વાસ્થ્યની પ્રેરણા મળી છે.

આ કાર્યક્રમ દરમ્યાન ઉપસ્થિત સર્વે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના શ્રીનગર ખાતેથી રાષ્ટ્રકક્ષાની ઉજવણીનું પ્રજાજોગ સંબોધન અને ગુજરાતમાં નડાબેટ ખાતે યોજાયેલ રાજયકક્ષાની યોગ દિનની ઉજવણી દરમ્યાન મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના સંબોધનનું જીવંત પ્રસારણ પણ નિહાળ્યું હતું.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રશિક્ષકો દ્વારા આયુષ મંત્રાલયના નિર્ધારિત પ્રોટોકોલ મુજબ યોગાભ્યાસ કરાવવામાં આવ્યો હતો.
આ ઉપરાંત યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે વડોદરા જિલ્લામાં જિલ્લા,તાલુકા, નગરપાલિકા,ગ્રામ્ય, શાળા, કોલેજ, અન્ય સંસ્થાઓ ખાતે યોગ દિવસના કાર્યક્રમોનું વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જિલ્લાના આઇકોનિક,ધાર્મિક,હેરિટેજ સ્થળોએ પણ નિર્ધારિત પ્રોટોકોલ મુજબ યોગાભ્યાસ કાર્યક્રમો યોજાયા હતા.
ચાણસદ નારાયણ સરોવર ખાતે યોજાયેલ વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં કલેકટર શ્રી બીજલ શાહ,જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી મમતા હિરપરા, જિલ્લા પોલીસ અધિક્ષક રોહન આનંદ સહિત ઉચ્ચ અધિકારીઓ, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો, ગ્રામજનો સહિત શાળાના વિદ્યાર્થીઓ સહભાગી થઈ યોગાભ્યાસમાં જોડાયા હતા.

