સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ
ગુજરાતમાં પીએમજેએવાય- આયુષ્યમાન યોજનામાં કેટલાક છબરડા સામે આવ્યા છે. જેમાં ગુજરાતની હોસ્પિટલોમાં બેડ કરતાં દર્દી વધારે છે. દર્દીને હોસ્પિટલમાંથી રજા અપાઈ હોય તે તારીખ પણ ગાયબ છે. 55 બેડની એક જ હોસ્પિટલમાં 240 દર્દીઓની ભરતી કઈ રીતે થઇ શકે છે ? ડાયાલિસિસ જેવા ડે કેર સિવાયના દાખલ દર્દીની સંખ્યા મુદ્દે શંકા છે.
ડાયાલિસિસ સિવાયના દર્દીઓના દાવાનું વિશ્લેષણ કરાયું
પીએમજેએવાય- આયુષ્યમાન મા યોજનામાં સંખ્યાબંધ છબરડા સામે આવ્યા છે. ગુજરાતમાં 51 જેટલી હોસ્પિટલો એવી છે જ્યાં બેડની સંખ્યા કરતાં વધુ પ્રમાણમાં દર્દી દાખલ હતા. એપોલો સીબીસીસી કેન્સર કેર એપોલો (અમરીશ ઓન્કોલોજી સર્વિસ પ્રા. લિ.નું એકમ)માં છ માર્ચ 2021ના રોજ બેડની સંખ્યા 55 હતી, અલબત્ત, દાખલ દર્દીની સંખ્યા 240 હતી. કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલના અહેવાલમાં આ બાબત સામે આવી છે. અહેવાલમાં કહેવાયું છે કે, ડે કેર જેવા કેસો એટલે કે કિમોથેરાપી, ડાયાલિસિસ સિવાયના દર્દીઓના દાવાનું વિશ્લેષણ કરાયું હતું, જેમાં ખબર પડી કે, હોસ્પિટલોમાં બેડ કરતાં દર્દીઓની સંખ્યા વધારે છે.
સાર્વજનિક હોસ્પિટલોનો ડેટા અપડેટ ડેટા બેક-એન્ડથી ભરાયેલ છે
ગુજરાતમાં આવી 51 હોસ્પિટલો છે. નેશનલ હેલ્થ ઓથોરિટીએ આ સંદર્ભે એવો જવાબ આપ્યો હતો કે, સાર્વજનિક હોસ્પિટલોનો ડેટા અપડેટ ડેટા બેક-એન્ડથી ભરાયેલ છે, જે સાચો નથી જ્યારે ખાનગી હોસ્પિટલોમાં સુવિધા અપગ્રેડ કરાય છે ત્યારે નોંધણી પોર્ટલમાં હોસ્પિટલ દ્વારા અપડેટ કરાતું નથી. હેલ્થ ઓથોરિટીએ એવો પણ બચાવ કર્યો હતો કે, ડાયાલિસિસ, કિમોથેરાપી, રેડિયોથેરાપીના દર્દી આખો દિવસ હોસ્પિટલના બેડ પર રહેતાં નથી. જોકે હેલ્થ ઓથોરિટીનો આ જવાબ સંતોષજનક નથી, કારણ કે ડેટા વિશ્લેષણ સમયે ડાયાલિસિસ સહિતના ડે કેરના કેસની ગણતરી જ કરવામાં આવી નહોતી. એ પછી નેશનલ હેલ્થ ઓથોરિટીએ કહ્યું હતું કે, બેડની સંખ્યાનો ડેટા વાસ્તવિક સમયના આધાર ઉપર ઉપલબ્ધ નથી.

