પ્રાપ્ય માહિતી પ્રમાણે, વડોદરા શહેરને સંસ્કારી નગરી કહેવાય છે અને આ નગરીમાં લોકો આર્થિક રીતે સધ્ધર થવા માટે દુરદુર થી રહેવા માટે અને પગભર થવા માટે આવતા હોય છે ત્યારે કેયા રીયાલીટીના મહાઠગ બિલ્ડર મનીષ પટેલ સામે વધુ એક ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં જાંબુઆની દેવદર્શન બંગ્લોઝની સાઇટ પર પ્રોપર્ટી લેવાના બહાને કુલ. 4.19 કરોડની ઠગાઇનો કિસ્સો સામે આવ્યો છે. પહેલા ક્રિસ્ટલ પ્રમુખ સાઇટ પર છેતરાયેલા લોકો સામે આવ્યા હતા. હવે અન્ય સાઇટ પર છેતરાયેલી લોકો સામે આવી રહ્યા છે. આ જોતા કાયદેસરની કાર્યવાહીનો સામનો કરી રહેલા મહાઠગ બિલ્ડર મનીષ પટેલની મુશ્કેલીઓ આવનાર સમયમાં વધી શકે છે.
આ મામલે મકરપુરા પોલીસ મથકમાં નેહાબેન ચીરાગભાઇ પટેલ (રહે. સનસીટી સોસાયટી, માંજલપુર)એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, અમે સારૂ મકાન લેવાના વિચારમાં હતા. દરમિયાન મારા દેરાણીના ભાઇ મનીષ મહેન્દ્રભાઇ પટેલ (રહે. વૃંદાવન સોસાયટી, આયનોક્સ સિનેમા પાછળ, ઇલોરાપાર્ક, વડોદરા) ને મળ્યા હતા. અને તેમણે જણાવ્યું કે, મારી દેવદર્શન બંગ્લોઝ નામની સ્કિમ જાંબુઆ સુંદરપાટીયા પાસે ચાલે છે. તેનું લોકેશન ખુબ સારૂ છે. જેથી અમે સાઇટ જોવા ગયા હતા. અને મકાનની કિંમત રૂ. 70 લાખ નક્કી કરવામાં આવી હતી. જે બાદ ટુકડે ટુકડે મકાનના રૂપિયા, મેન્ટેનન્સ ડિપોઝીટ, અને વેરા પેટે મળીને કુલ. રૂ. 77.12 લાખ ની અમે ચુકવણી કરી હતી.
જો કે, અમને મકાનનું પઝેશન કે વેચાણ દસ્તાવેજ ઘણા સમય સુધી કરી આપ્યો ન હતો. અમે મનીષ પટેલની ઓફિસે જઇએ તો તે બંધ હોવાનું અને તે ભાગી ગયેલ હોવાનું જાણવા મળ્યું હતું. દરમિયાન માતા પિતાનું મૃત્યુ થયા બાદ અમે મનીષ પટેલની ઓફિસે ગયા હતા. ત્યાં મળતા તેણે અમને કહ્યું કે, તમારે દસ્તાવેજ બાબતે બહુ ઉતાવળ કરવી નહિ. હવે પછી જો મારી ઓફિસે આ બાબતે આવ્યા તો જીવતા જશો નહિ, તેની જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે બાદ અમે તેની ઓફિસે જતા ન હતા. અને મોબાઇલ ફોનથી જ સંપર્કમાં હતા.
આ સાથે જાણવા મળ્યું કે, અમારી જોડે જોડે, કિર્તનકુમાર દિપકભાઇ પટેલ (રહે. રાધિકા સોસાયટી, વાસણા રોડ) ના રૂ. 43 લાખ, શોભનાબેન અરવિંદભાઇ સોલંકી (રહે. માંજલપુર ગામ, જીવામામાની પોળ, માંજલપુર) ના રૂ. 25 લાખ, મનુભાઇ જેઠાભાઇ પાટણ (રહે. ઓર્નેટ સોસાયટી, સુંદરપુરા) ના રૂ. 25 લાખ, કાલુરામ ભંવરલાલ શાહ (રહે. શાંતિ નગર, તરસાલી, વડોદરા) ના રૂ. 46.14 લાખ, મધુબેન રમેશભાઇ પટેલ (રહે. સનસીટી, અંબે સ્કુલ સામે, માંજલપુર) ના રૂ. 35 લાખ, અને મુકેશભાઇ નગીનભાઇ પાટણવાડીયા (રહે. મીઠોળ, શિનોર – વડોદરા) ના રૂ. 33.50 લાખ મકાન બુકિંગ પેટે લીધા બાદ પઝેશન નહિ મળ્યું હોવાનું સામે આવ્યું છે.
મનીષ મહેન્દ્ર પટેલે વર્ષ 2016 સુધીમાં ઉપરોક્ત મકાનનો કબ્જો આપવાનું નક્કી કર્યું હતું. પરંતુ ડ્રેનેજ, પાણીની લાઇન તેમજ ઇલેક્ટ્રીસીટીને લગતું કામકાજ બંધ કરી દીધું હતું. તેણે દેવદર્શન બંગ્લોઝમાં 43 મકાનો બનાવ્યા હતા. આમ, કુલ મળીને 10 વ્યક્તિઓના 4.19 કરોડ લીધા બાદ મકાનનું પઝેશન આપ્યું ન હતું. આ અંગે રેરામાં ફરિયાદ કરતા અમારી તરફેણમાં ચુકાદો આવ્યો હતો. આખરે ઠગાઇ મામલે મનીષ મહેન્દ્રભાઇ પટેલ સામે વધુ એક ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેને કારણે કાયદેસરની પ્રક્રિયાનો સામને કરી રહેલા મહાઠગ બિલ્ડરની મુશ્કેલીઓમાં આવનાર સમયમાં વધારો થઇ શકે છે તે વાત નક્કી છે.

