સંકેત પંડ્યા – એડિટર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે ત્યારે આજે સવારે ગાંધીનગર રેલવે સ્ટેશનથી વંદે ભારત અને અમદાવાદમાં મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી હતી. આ ઉપરાંત અમદાવાદમાં થલતેજમાં એક જાહેર સભાને સંબોધી હતી ત્યારબાદ ગાંધીનગર જવા રવાના થયા હતા. આજે સાંજે પીએમ મોદી અંબાજીની મુલાકાત કરશે. આ પ્રવાસ દરમિયાન તે તારંગા હિલથી આબુ રોડ સુધીની 116 કિલોમીટર લાંબી રેલવે લાઇનનું કરશે ભૂમિપૂજન ત્યાર બાદ અંબાજીમાં જાહેરસભાનું સંબોધન કરીને મહાઆરતીમાં હાજરી આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાફલો ગાંધીનગર રાજભવનથી અંબાજી જવા માટે રવાના થયો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અંબાજી ઉપરાંત બનાસકાંઠાની પણ મુલાકાતે જવાના છે. પીએમ મોદીને આવકારવા માટે બનાસકાંઠાના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠામાં 7908 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત પીએમ મોદી કરશે. અંબાજીથી પાંચ કિલોમીટર દૂર સભા સ્થળ છે જ્યાં નરેન્દ્ર મોદી સભાને સંબોધન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યાં સભા સંબોધન કરશે તે સ્થળ પર વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવી છે. આ સભામાં ખાસ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે અને લોકો માટે પણ બેઠક બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.
તારંગા હિલથી આબુ રોડ રેલવે લાઇનની સાથે સાથે
– 2798.16 કરોડનો સંપૂર્ણ પ્રોજેક્ટ
– 116 કિલોમીટર લાંબી હશે રેલવે લાઈન
– રેલવે લાઈનમાં 6 સ્થળોએ રિવર ક્રોસિંગ
– ક્રોસિંગની કામગીરી ચાર તબક્કામાં થશે પૂર્ણ
– ગુજરાતના ત્રણ જિલ્લામાંથી પસાર થશે
– મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠાથી પસાર થશે
– રાજસ્થાનના એક જિલ્લામાંથી પણ પસાર થશે
– સિરોહી જિલ્લામાંથી પસાર થશે
– ગુજરાતના ત્રણ જિલ્લાના 104 ગામને થશે લાભ
– આ રેલવે રૂટ પર હશે 15 રેલવે સ્ટેશન, ગુજરાતના 4 અને રાજસ્થાનના 4

