સંકેત પંડ્યા – એડિટર
હવે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે સ્થિતિ લગભગ સ્પષ્ટ છે. અત્યાર સુધી વરિષ્ઠ નેતાઓ મલ્લિકાજુર્ન ખડગે, શશિ થરૂર અને કેએન ત્રિપાઠી મેદાનમાં છે. આ ચૂંટણી ભલે ત્રિકોણીય હોય, પરંતુ સીધો મુકાબલો ખડગે અને શશિ થરૂર વચ્ચે હોવાનું માનવામાં આવે છે. શુક્રવારે ત્રણેય નેતાઓએ પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવી છે.
થરૂરે પાર્ટી હેડક્વાર્ટર ખાતે ઉમેદવારી પત્ર ભર્યું હતું. તિરુવનંતપુરમના સાંસદે પાર્ટીના સેન્ટ્રલ ઇલેક્શન ઓથોરિટીના અધ્યક્ષ મધુસૂદન મિસ્ત્રીને તેમના કાર્યાલયમાં ઉમેદવારી પત્રો સોંપ્યા. વાસ્તવમાં, થરૂર સિવાય કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ પણ શુક્રવારે પાર્ટી અધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. આ સાથે જ થરૂરે ખડગેની ઉમેદવારીનું પણ સ્વાગત કર્યું હતું. તેમની ઉમેદવારીના સમર્થકોમાં પાર્ટીના નેતાઓ અશોક ગેહલોત, દિગ્વિજય સિંહ, પ્રમોદ તિવારી, પીએલ પુનિયા, એકે એન્ટની, પવન કુમાર બંસલ અને મુકુલ વાસનિકનો સમાવેશ થાય છે. કોંગ્રેસમાં પરિવર્તનની હિમાયત કરનારા G23 જૂથના નેતાઓ આનંદ શર્મા અને મનીષ તિવારી પણ ખડગેના નામાંકનના સમર્થકોમાં સામેલ હતા.
થરૂરે કર્યા ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો
ઉમેદવારી પત્ર ભર્યા બાદ મીડિયા સાથે વાત કરતા થરૂરે કેન્દ્રમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. ભાજપ પર પ્રહાર કરતા થરૂરે કહ્યું હતું કે, “અમે જોયું છે કે આપણા દેશમાં વસ્તુઓ ખરેખર સારી રીતે ચાલી રહી નથી. નોટબંધી, ઐતિહાસિક બેરોજગારી, મોંઘવારી વધી છે. તેથી કોંગ્રેસ પરિવર્તન લાવનાર પાર્ટી હોવી જોઈએ. આ ચૂંટણી ભારતના યુવાઓ અને દેશના ભવિષ્ય વિશે છે.” કોંગ્રેસના અધ્યક્ષ પદના ઉમેદવાર શશિ થરૂરે કહ્યું, “મેં મારું નામાંકન પત્ર ભર્યું છે જેમાં 50 લોકોએ મને સમર્થન આપ્યું છે. આ આંકડો 60 હશે કારણ કે એક બીજી જગ્યાએથી ફોર્મ આવી રહ્યું છે જે અમે બપોરે 3 વાગ્યા પહેલા ફાઇલ કરીશું. 12 રાજ્યોના કોંગ્રેસ કાર્યકર્તાઓએ અમારી મદદ કરી છે.”
હરીફ ઉમેદવાર વિશે આવું બોલ્યા થરૂર
ખડગેની ઉમેદવારી પર થરૂરે કહ્યું, મને ખડગે સાહેબ માટે ખૂબ સન્માન છે. જો ઘણા લોકો નોમિનેશન ફાઇલ કરે છે તો તે સારી વાત છે અને લોકોને વિકલ્પ પણ મળશે. મેં આ કોઈને અપમાનિત કરવા માટે નથી કર્યું. આપણે સાથે મળીને કામ કરવાની જરૂર છે. મને લાગે છે કે તે આપણા પક્ષના ભીષ્મ પિતામહ છે. તેમનો અનાદર ન કરી શકું. પક્ષના કાર્યકરોને નક્કી કરવા દો કે તેમણે કેવી રીતે આગળ વધવું છે. તેમણે કહ્યું, અમે દુશ્મનો કે પ્રતિસ્પર્ધી નથી, અમે સહયોગી છીએ અને અમને પાર્ટીને આગળ લઈ જવામાં રસ છે. તેમણે ખડગે, દિગ્વિજય સિંહ, ત્રિપાઠી વિશે કોઈ પણ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
હું મારું વિઝન 9000 પ્રતિનિધિઓને મોકલીશ
થરૂરે કહ્યું કે, ચૂંટણી પ્રક્રિયામાં બધું જ આદર્શ નથી હોતું, જો કોઈ મેચ રમવા માંગે છે તો તેણે ઉપલબ્ધ પિચ પર જ રમવું પડે છે. મારી પાસે કોંગ્રેસ માટે એક વિઝન છે. હું તેને 9,000થી વધુ પ્રતિનિધિઓને મોકલીશ અને તેમનું સમર્થન માંગીશ. આ દરમિયાન થરૂરે પોતાનો મેનિફેસ્ટો પણ બહાર પાડ્યો હતો. તેમણે કહ્યું, ઘણા રાજ્યોમાંથી કોંગ્રેસના કાર્યકરોની સહીઓ સાથે, તેમનું નામાંકન પત્ર વ્યાપક સમર્થન દર્શાવે છે.
નામ પાછું લેવાનો ઇનકાર કર્યો
ખડગે ચૂંટણી મેદાનમાં ઉતર્યા પછી નામાંકન પાછું ખેંચવાના પ્રશ્ન પર થરૂરે કહ્યું, જો મારે પછીથી નામ પાછું જ ખેંચવું હોત તો મેં હું નામાંકન જ શા માટે ભરું? વધુમાં શશિ થરૂરે કહ્યું, “કોંગ્રેસ અધ્યક્ષે મને ખાતરી આપી કે પાર્ટીનો કોઈ સત્તાવાર ઉમેદવાર નથી, ગાંધી પરિવાર આ રેસમાં તટસ્થ રહેશે અને તેઓ શક્ય તેટલા ઉમેદવારોનું સ્વાગત કરે છે. આ ભાવનાથી જ હું મારી ઉમેદવારી સાથે આગળ વધ્યો. આ કોઈનો અનાદર નથી કરતો; આ મૈત્રીપૂર્ણ સ્પર્ધા છે.”

