સંકેત પંડ્યા – એડિટર
રાજ્યમાં ત્રીજા નંબરે આવતો અને ગુજરાતના ૯ જીલ્લાઓને પાણી પહોંચાડતો કડાણા ડેમ ઓવરફ્લો થતા મહીસાગર નદીમાં ઘોડાપુર આવ્યુ હતુ. મહીસાગર જીલ્લામાં લુણાવાડાથી અમદાવાદ તરફ જતા હા-ઇવે ઉપર મહીસાગર નદી પર બાંધવામાં આવેલા હાંડોડ બ્રિજની નીચેથી મહીસાગર નદીના પૂરના પાણી લગોલગ વહેતા બ્રિજના બંને સ્થળે એપ્રોચ રોડનું જોખમી રીતે ધોવાણ થતાં મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર પણ આશ્ચર્યચકિત થઈ ગયુ છે

તેમજ આ બ્રિજને તૈયાર કરનાર એ કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર આચર્યો હોય તેવુ સ્પષ્ટરીતે દેખાય છે. બ્રિજ પરના આ રોડના ધોવાણને લઈને હાડોડ બ્રિજને અત્યારે NO ENTRY ઝોનમાં મૂકીને બન્ને તરફ પોલીસ બંદોબસ્ત ગોઠવી રસ્તો બંધ કરી તાકીદે સમારકામ હાથ ધરવામાં આવ્યું છે.

એક વર્ષ પૂર્વે તત્કાલીન મંત્રી પુર્ણેશ મોદી દ્વારા ઈ – લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. વર્લ્ડ બેંકની નાણાંકીય ગ્રાન્ટમાંથી અંદાઝે ૧૮ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયલે હાડોડ બ્રિજના ઈ- લોકાર્પણ સાથે વાહન વ્યવહાર શરૂ કરાયો હતો. આ બ્રિજના બંને છેડા ઉપર એપ્રોચ રોડનું જોખમી રીતે ધોવાણ થતા ઈરજારદાર એજન્સી અને સંલગ્ન વહીવટી તંત્રની બેજવાબદારીઓ સામે આવી છે. મહીસાગર જીલ્લા કોંગ્રેસ પ્રમુખ સુરેશ પટેલે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કર્યો છે.

વર્લ્ડ બેંકની અંદાજે ૮૬ કરોડ રૂપિયાની ગ્રાન્ટમાંથી લુણાવાડાને અમદાવાદ સાથે જોડતો ગરાસીયા વાળ સુધી બનાવવામાં આવેલા આ હાઇવે ઉપર મહીસાગર નદીની ઉપર અંદાઝે ૧૮ કરોડ રૂપિયાના ખર્ચે હાડોડ બ્રિજ પણ બનાવવામાં આવ્યો હતો. કડાણા ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના પગલે તોફાની બનેલી મહીસાગર નદીના પાણી હાડોડ બ્રિજની સપાટીને લગોલગ વહેતા થતા આ બ્રિજના બંને છેડાના એપ્રોચ રોડનું ભારે ધોવાણ થયું છે. એમાં વાહનચાલકોની સુરક્ષાઓ માટે લગાવવામાં આવેલ ક્રેશ બેરીયરો પણ ઝુલતી દેખાઈ રહી છે. મહીસાગર જીલ્લા કલેક્ટર દ્વારા 12 દિવસ સુધી હાંડોડ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે તેમજ લોકોની સુખાકારી માટે જેમ બને તેમ ઝડપી કામગીરી કરવા અધિકારીઓને સુચના આપવામાં આવી છે.

