ધવલ ગોંડલીયા – પત્રકાર
રાજકોટ જિલ્લા વહીવટી તંત્રે બુધવારે લોકમેળાના ઉદઘાટન સમારોહનું આયોજન કર્યું છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મેળો ખુલ્લો મુકાશે. આ સાથે જ રાજકોટ શહેરના લોકોને ફરવા માટે વધુ એક રમણીય સ્થળ મળશે. જિલ્લા વહીવટી તંત્રે બુધવારે સાંજે 5 વાગ્યે ઉદઘાટન સમારોહ રાખ્યો જેમાં મુખ્યમંત્રી ઉપરાંત સાંસદ સી.આર. પાટિલ, મંત્રી જીતુ વાઘાણી, રાઘવજી પટેલ, બ્રિજેશ મેરજા, આર.સી. મકવાણા, અરવિંદ રૈયાણી તેમજ વજુભાઈ વાળા તેમજ સાંસદો અને ધારાસભ્યો હાજર રહેવાના છે. આમંત્રણમાં ફક્ત મેળાનો જ ઉલ્લેખ છે.જો કે, રાજકોટ મહાનગરપાલિકાએ ત્યારે જ રામવનના લોકાર્પણનું આયોજન કરી નાખ્યું છે અને સ્ટેજ પરથી મુખ્યમંત્રી તેનું લોકાર્પણ કરશે. આ સાથે વડાપ્રધાન પણ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાય તેના પ્રયાસો ચાલી રહ્યા છે. બીજી તરફ હાલ લંડન પુત્રીના ઘરે રોકાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ મુખ્ય મહેમાનની શ્રેણીમાં મુકાયા છે તેથી તેઓ રૂબરૂ આવશે કે પછી વર્ચ્યુઅલ જોડાશે તે સ્પષ્ટ થયું નથી. લોકમેળો બે વર્ષે યોજાઈ રહ્યો છે તેથી લોકોમાં તેને લઈને ભારે ઉત્સાહ છે અને બીજી તરફ રામવન પણ તૈયાર હોવાથી લોકો શ્રીરામના જીવનકવનની થીમ પર તૈયાર કરાયેલા આધુનિક જંગલને જોવા પણ તલપાપડ છે. આ બંને એક જ દિવસે ખુલ્લા મુકાતા શહેરીજનોને જન્માષ્ટમીમાં ઘણું આકર્ષણ મળશે.

