અરવલ્લી જિલ્લાના કેટલાય અંતરિયાળ ગામડાઓ તો હજુ પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત છે. જિલ્લામાં જો ભારે વરસાદ થઈ જાય તો ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સ્થિતિ પેદા થાય છે.આવા ગામડાઓ તરફ તંત્રનું ધ્યાન પણ જતું નથી અને સમસ્યાઓ જેમની તેમ જ રહે છે. મુલોજ ગામમાં રસ્તાની સુવિધા નહી હોવાથી લોકો ખેતરોમાંથી પસાર થઇને સ્મશાન સુધી જાય છે. શિયાળા અને ઉનાળામાં તો રસ્તો ખુલ્લો હોય છે પણ ચોમાસામાં વરસાદ પડે ત્યારે કાચો રસ્તો કીચડમય બની જાય છે. ગામલોકોએ જણાવ્યું કે, વારંવાર રજુઆત કરવા છતાં કોઇ કાર્યવાહી તંત્ર તરફથી કરવામાં આવતી નથી.
મુલોજ ગામમાં કોઈ સ્વજનન મૃત્યુ થાય ત્યારે ગામલોકોની ભારે દયનિય સ્થિતિ થઈ જાય છે. ગામના પાણીમાં ડૂબેલા રસ્તા પરથી જળમાર્ગે અંતિમયાત્રા કાઢવાનો વારો ડાઘુઓને આવે છે ત્યારે ગામડાઓમાં પણ વિકાસના પડછાયા પાડવા માટે સ્થાનિકોએ માંગ કરી છે.
અરવલ્લી જિલ્લામાં દર વર્ષે લોકોને ચોમાસામાં હાલાકીઓ પડી રહી છે, પણ તંત્ર નઠોર બન્યું છે, કોઇપણ પ્રકારનો સર્વે કરવામાં નથી આવતો, જો સર્વે કરીને કામગીરી કરવામાં આવે તો દર વર્ષે આ પ્રકારની સમસ્યા ન સર્જાય.

