જગદીશ ત્રિવેદી – લુણાવાડા
મહીસાગર નદીના કિનારે અધ્યતન સ્મશાન ગૃહ બનાવવાની નેમ સાથે નીકળેલ મહીસાગર મુક્તિધામ ટ્રસ્ટ દ્વારા 1 થી 2 કરોડના ખર્ચે આધુનિક સ્મશાન ગૃહ ટેક્નોલોજી અને આર્કીટેક્ચરલ પ્લાંનિંગ સાથે બનાવવાનું ભગીરથ કાર્ય આરંભાયું છે. આ સેવા કાર્યમાં સ્મશાન ગૃહ સાથે જોડાયેલા તમામ ગામોમાંથી દાન માટે ભારે પ્રતિસાદ મળી રહ્યો છે, તે સંજોગોમાં આજ રોજ તાલુકાના બડેસરા ગામના ભીખાભાઇ હીરાભાઈ પટેલ અને જયંતીભાઈ હીરાભાઈ પટેલ દ્વારા તેમના માતા શ્રી સ્વ. સુખીબેન હીરાભાઈ પટેલ ના બેસણાના દિવસે બડેસરા ખાતે ટ્રસ્ટના આગેવાનોને રૂ.૧,૫૧,૦૦૦ જેટલી માતબર રકમનું દાન આપી અન્ય લોકો પણ પ્રોત્સાહિત થાય તેવું સુંદર ઉમદુ કાર્ય કરેલ છે.

આ કાર્યમાં સહભાગી એવા બાવન પાટીદાર સમાજના પ્રમુખ શ્રી જેઠાભાઇ પટેલ, મહીસાગર પાટીદાર સમાજના પ્રમુખ મહેશભાઈ પટેલ વગેરેએ હાજર સમાજના તમામ મિત્રોને આજના શોક સંદેશા સાથે સ્મશાન ગૃહ બનાવવા માટે ઉદાર હાથે ફાળો આપવાની અપીલ પણ કરી હતી. આ સમયે મોટી સંખ્યામાં સમાજના આગેવાનો તથા મહીસાગર મુક્તિધામ ટ્રસ્ટના ટ્રસ્ટી અને સમસ્ત બ્રહ્મસમાજ ગુજરાતના ઉપપ્રમુખ શૈલેષભાઇ ઠાકર તેમજ ટ્રસ્ટીશ્રી તથા ખાનપુર એ.પી.એમ.સી. ના ચેરમેન ભુલાભાઇ પટેલ તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટીઓ એ પણ દાતા શ્રીઓ નો આભાર માની શોક સંદેશો પાઠવ્યો હતો.

