દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાતમાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ બાદ હવે અરવિંદ કેજરીવાલ અમદાવાદની મુલાકાતે આવી તેમણે ગઈકાલે નરોડા મેવાડા ગ્રીન પાર્ટી પ્લોટમાં ગુજરાતના સંગઠનના 7500 પદાધિકારીઓને શપથ લેવડાવ્યા. ત્યારબાદ આજે 4 જુલાઈના રોજ સવારના 11 વાગ્યે વીજળીના મુદ્દે વૈષ્ણવદેવી સર્કલ પાસે ટાઉન હોલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. ત્યાર બાદ અરવિંદ કેજરીવાલ દિલ્હી જવા રવાના થયા હતા.

ગઈકાલે રવિવારે અમદાવાદ ના નરોડા વિસ્તારમાં આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ હતો જેમાં આમ આદમી પાર્ટીના પક્ષનું વિસ્તરણ કરવામાં આવ્યું. જેમાં આપના રાષ્ટ્રીય નેતા ઇસુદાનભાઇ ગઢવી સહિત ઘણાં નેતાઓને મોટી જવાબદારી સોંપાઇ હતી. આ અંગે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ‘ગુજરાતના બીજા સૌથી મોટા સંગઠનમાં 7500 પદાધિકારીઓને શપથ લેવડાવવા માટે અરવિંદ કેજરીવાલ આજે ગુજરાત આવ્યા છે. જેમાં હાલમાં 6000થી વધુ પદાધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.

દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે 27 વર્ષોથી ગુજરાતમાં ભાજપથી લોકો હેરાન અને ત્રાસી ગયા છે, પહેલા પણ કોંગ્રેસ ઉપર લોકોએ ભરોસો મુક્યો અને વોટ આપ્યા તેમ છતાં તેઓ સરકાર બનાવી શકયા નથી. અરવિંદ કેજરીવાલે ગુજરાતને લગતી જે કંઇ પણ મહત્વની સમસ્યા હોય જેમ કે, આદિવાસી સમાજની સમસ્યા હોય કે પછી ખેડૂતોની સમસ્યા હોય કાં તો પછી ગરીબ લોકોની સમસ્યા હોય, આ તમામ સમસ્યાઓ પર ચર્ચાઓ કરી હતી. અરવિંદ કેજરીવાલે વીજળી અંગે વાતચીત કરતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં ચૂંટણી આવવાની છે. હું તમને પૂછવા માગું છું કે આમ આદમી પાર્ટી પહેલી ચૂંટણી લડે છે ત્યારે શું ગુજરાતના નેતાઓએ વીજળી કે તમારા મુદ્દા પર ચર્ચા કરી? અમે દિલ્લી અને પંજાબમાં કરી બતાવ્યું અને હવે ગુજરાત રાજ્યમાં પણ કરી બતાવીશું. ત્યારે જોવાનુ એ રહ્યું કે આમ આદમી પાર્ટીના નેતાઓ કઇ રણનીતિ અપનાવી આગળ વધશે.

