સંકેત પંડ્યા – એડિટર
સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા તાજેતરમાં ગુજરાત રાજ્યમાં આવેલા વિવિધ પેટ્રોલ પંપ ઉપર મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં વડોદરાના બે પંપ સહિત રાજ્યભરમાં 25 જેટલા પેટ્રોલ પંર પર સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. કામગીરી અંતર્ગત પેટ્રોલ પંપના જૂના હિસાબી રેકોર્ડની ઝીણવટ ભરી તપાસ ચાલી રહી છે. સમગ્ર તપાસના અંતે મોટી કરચોરી પકડી પાડવામાં સફળતા મળે તેવી વકી છે.


સુત્રોના જણાવ્યા અનુસાર, સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા સમયાંતરે જૂદી જૂદી કોમોડીટી તથા સર્વિસ સિસ્ટમ બેઝ્ડ એનાલીસીસ કરવામાં આવે છે. જેમાં ખાસ કરીને માર્કેટ ઇન્ટેલિજન્સ આધારિત ટેક્સ યોગ્ય ભરપાઇ કરવામાં આવે છે કે કેમ તેના પર દેખરેખ રાખવામાં આવે છે. તાજેતરમાં રાજ્યભરના 25 પેટ્રોલ પંપ પર વેચાણ તથા અન્ય હિસાબી સાહિત્યની ઝીણવટ કરી તપાસ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને પેટ્રોલ પંપ દ્વારા વેટની ભરપાઇ કરવામાં આવે છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે. હાલ તમામ 25 જગ્યાઓ પર કાર્યવાહી વધુ તિવ્રતાથી ચાલી રહી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, એસ.જી.એસ.ટી વિભાગની કાર્યવાહીના અંતે મોટી કરચોરી સામે આવે તો નવાઇ નહી.

