સંકેત પંડ્યા – એડિટર
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પરશુરામ જયંતિ નિમિત્તે આજે પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે બ્રહ્મસમાજ દ્વારા આયોજિત એક શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. તેમણે અહીં ભગવાન શ્રી પરશુરામની પૂજાઅર્ચના કરી ગુજરાતના કલ્યાણની મંગલકામના કરી હતી.
ભગવાનશ્રી પરશુરામની જન્મ જયંતી નિમિત્તે ગોધરાની લાલબાગ ટેકરી મંદિરમાં યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્યમંત્રીશ્રીના વરદહસ્તે દીપપ્રાગટય દ્વારા શુભારંભ કરાવવામાં આવ્યો હતો. વૈદિક મંત્રોચ્ચાર સાથે મુખ્યમંત્રીશ્રી દ્વારા ભગવાન પરશુરામનું તિલક-પુષ્પ અર્પણ કરી પૂજન કરવામાં આવ્યું.
આ પ્રસંગે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત બ્રાહ્મણો દ્વારા ‘જય જય પરશુરામ’ અને ‘હર હર મહાદેવ’ના જયઘોષ વચ્ચે મુખ્યમંત્રીશ્રીએ એક શોભાયાત્રાને પ્રસ્થાન પણ કરાવ્યું હતું. શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યા બાદ મુખ્યમંત્રીશ્રીએ ઉપસ્થિત નગરજનો વચ્ચે જઈ, હાથ મિલાવી અભિવાદન સ્વીકાર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ તેમને પરશુરામ જયંતિની શુભેચ્છા પાઠવવા સાથે કાર્યક્રમમાં સહભાગી થવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના ઉપપ્રમુખ અને મધ્યઝોનના પ્રભારી શ્રી શૈલેષકુમાર ઠાકર સહિતના બ્રહ્મસમાજના આગેવાનો દ્વારા મુખ્યમંત્રીશ્રીને શાલ, સ્મૃતિચિન્હ, ભગવાન પરશુરામની છબી અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અને પરશુરામ સેના (યુવા વાહીની) દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો સહભાગી થયા હતાં. શહેરના રાજમાર્ગો પર વાજતેગાજતે નીકળેલી શોભાયાત્રા આકર્ષણનું કેન્દ્ર બની હતી. શોભાયાત્રા શહેરના ચિત્રારોડ, વિશ્વાકર્મા ચોક, જુની પોસ્ટ ઓફીસ, ડો. એ.પી.પંડ્યા માર્ગ સહિતના વિસ્તારો માંથી પસાર થઈ હતી. જેમાં બ્રહ્મ સમાજના પરીવારો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ પ્રસંગે પંચમહાલ જીલ્લા સાંસદ સભ્યશ્રી રતનસિંહ રાઠોડ, ગોધરા ધારાસભ્ય સી.કે રાઉલજી, જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ સહિત સ્થાનિક રાજકીય આગેવાનોએ પણ ઉપસ્થિત રહી મુખ્યમંત્રીને આવકારી સ્વાગત કર્યુ.

