પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં બાળ શ્રમયોગી પ્રથા નાબૂદીની ટીમ અને મદદનીશ શ્રમ આયુક્તની કચેરી દ્વારા સંયુક્ત રીતે એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સાંપા રોડ પર ગોવિંદી બ્રાન્ચમાં આવેલી ‘વરૂણ બેકર્સ’ નામની સંસ્થા પર ઓચિંતો દરોડો પાડીને એક ૧૭ વર્ષના તરુણ શ્રમયોગીને મુક્ત કરાવવામાં આવ્યો છે. આ મામલે સંસ્થા અને તેના માલિક સામે લેબર કોર્ટમાં ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યો છે.
કાયદાના ધજાગરા: લઘુતમ વેતન પણ અપાતું નહોતું દરોડા દરમિયાન સામે આવ્યું હતું કે મુક્ત કરાયેલા સગીર વયના તરુણને દૈનિક માત્ર રૂા. ૪૫૦/- રોકડા ચૂકવીને તેનું શોષણ કરવામાં આવતું હતું. સંસ્થા દ્વારા સરકારના પ્રવર્તમાન લઘુતમ વેતન અધિનિયમ-૧૯૪૮ કરતાં પણ ઓછું વેતન ચૂકવાતું હતું અને કાયદાથી બચવા માટે તેનું કોઈ હાજરી કાર્ડ કે પગાર ચીઠ્ઠી પણ રાખવામાં આવતી નહોતી.
૧ માસની જેલ અને દંડની જોગવાઈ નિયમોના ઉલ્લંઘન બદલ વરૂણ બેકર્સ અને તેના માલિક લાલવાણી મનોજકુમાર સાધુરામ વિરુદ્ધ બાળ અને તરુણ શ્રમ (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ હેઠળ ગોધરાની મજૂર અદાલતમાં ફોજદારી કેસ (નં. CREN/૬૮/૨૦૨૬) નોંધવામાં આવ્યો છે. કાયદાની કલમ ૧૪(૩) મુજબ આ ગુના માટે માલિકને ઓછામાં ઓછી ૧ માસની કેદ અથવા રૂા. ૧૦,૦૦૦/- નો દંડ અથવા બંને સજા થઈ શકે છે. આ ઉપરાંત લઘુતમ વેતન ભંગ બદલ માલિકને અલગથી નોટિસ પણ ફટકારવામાં આવી છે.
બાળકના શૈક્ષણિક અને આર્થિક પુનઃવસન માટે તંત્ર સક્રિય શ્રમ વિભાગ દ્વારા માત્ર કાયદાકીય પગલાં જ નથી લેવાયા, પરંતુ મુક્ત કરાયેલા તરુણના ભવિષ્ય માટે તેને શિક્ષણ મળી રહે તે હેતુથી જિલ્લા શિક્ષણાધિકારી અને સર્વ શિક્ષા અભિયાનની કચેરી સાથે પત્રવ્યવહાર કરાયો છે. આ સાથે જ તેના પરિવારના આર્થિક પુનઃવસન માટે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ગોધરાને પણ જાણ કરવામાં આવી છે.

