મળતી માહિતી પ્રમાણે નવા વર્ષે ગાંધીનગર ખાતે યોજાયેલ કેબિનેટ બેઠકથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ગુજરાતને વધુ એક જિલ્લો મળી શકે છે. આજે ગાંધીનગર ખાતે યોજાયેલ રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં બનાસકાંઠા જિલ્લાને બે ભાગમાં વહેંચવા અંગે ચર્ચા થઈ છે. કેબિનેટ બેઠકમાં જિલ્લાના બે ભાગ કરવા અંગે ચર્ચા થયા બાદ હવે મુખ્યમંત્રી કક્ષાએથી જાહેરાત કરવામાં આવી શકે છે.
ગુજરાતમાં હાલ 33 જિલ્લાઓ છે જેમાં વધુ એક જિલ્લાને કેબિનેટ બેઠકમાં મંજૂરી મળી છે. સૂત્રોનું માનીએ તો બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને થરાદ-વાવને નવો જિલ્લો બનાવાશે. જેમાં થરાદ જિલ્લામું મુખ્ય મથક રહેશે. જોકે આ અંગે સત્તાવાર જાહેરાત આજે સાંજે 4 વાગ્યે થઈ શકે છે.
કેબિનેટની બેઠકમાં બનાસકાંઠા જિલ્લાના વિભાજનની ચર્ચા વચ્ચે આ જિલ્લામાં અનેક તાલુકા બનાવવાની પણ માંગ છે. વાસ્તવમાં બનાસકાંઠા જિલ્લામાં 14 જેટલા તાલુકા આવેલા છે. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, વડગામ, અમીરગઢ, દાંતા, ડીસા, દાંતીવાડા, ધાનેરા, થરાદ, વાવ, સુઈગામ, ભાભર, દિયોદર, લાખણી અને કાંકરેજ તાલુકા છે.

