માંડવી તાલુકાના ભારાપર ગામે આજે ધારાસભ્ય અનિરુદ્ધ દવેના હસ્તે રૂ. 13.30કરોડના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તાલુકાના માર્ગ વ્યવહારને વધુ સુદૃઢ બનાવવા માટે મહત્વના માર્ગોના નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ અંતર્ગત રાજપર વિરાણી– નાભોઈ–કુરબઈ રોડનું નવીનીકરણ રૂ. 6.30 કરોડના ખર્ચે, ગોધરા થી દુર્ગાપુર–ભારાપરને જોડતા રોડનું નવીનીકરણ રૂ. 3.80 કરોડના ખર્ચે તેમજ ભાડા થી આશર માતા મંદિર રોડનું નવીનીકરણ રૂ. 70 લાખ ના ખર્ચે , વેકરા ક્રિકેટ ગ્રાઉન્ડથી મંજલેશ્વર મહાદેવ મંદિર સુધીનો રોડ રૂપિયા 70 લાખ ના ખર્ચે, કોડાઈ ગામે સુલતાનગર સ્વામિનારાયણ સંસ્કારધામ વાડી થઈને ભુજ જતો રોડ ₹75 લાખના ખર્ચે આમ કુલ 13.30 કરોડ રૂપિયાના ખર્ચે થનારા વિકાસ કાર્યનો આરંભ કરવામાં આવ્યો છે.
ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને માર્ગ સુવિધાના મજબૂતીકરણથી ગ્રામજનોને સરળ અને સુરક્ષિત પરિવહન સુલભ બનશે.
આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, અગ્રણીઓ, જિલ્લા પંચાયતના હોદ્દેદારો, સરપંચશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

