14 ડિસેમ્બર ના રોજ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ના નવા અધ્યક્ષશ્રીની પ્રથમ કારોબારી સભા- માં અંબાના સાનિધ્યમાં અંબાજી ખાતે મળી હતી. સમગ્ર ગુજરાત માંથી સમાજના સંગઠનમાં નિમાયેલા તમામ કારોબારી સભ્યો દરેકે દરેક જિલ્લામાંથી ઉત્સાહ ભેર હાજર રહ્યા હતા. ઉત્તર ગુજરાતના યજમાન પણા અને અંબાજી ગામ બ્રહ્મ સમાજના યજમાન પણા હેઠળ આ કાર્યક્રમ સંપન્ન થયો હતો. સવારે – માં અંબાના ધામમાં બ્રાહ્મણોના પારંપરિક પરિધાનમાં ભાઈઓએ પીતામ્બર અને બહેનોએ સાડીનો પોશાક ધારણ કરી જગતજનની માં અંબાની પાદુકા પૂજનથી કાર્યક્રમની શરૂઆત થઇ હતી. સમાજના જ પ્રદેશ કારોબારી સભ્ય અને અંબાજી ખાતેના વિજય પેલેસ રિસોર્ટ ના માલિક શ્રી ભદ્રેશભાઈ પંડ્યાના રિસોર્ટ ખાતે મળેલી સભામાં રાજ્યના મહામંત્રી શ્રી અનિલભાઈ શુક્લ, મહિલા પાંખના પ્રમુખ શ્રીમતી ધારીણીબેન શુક્લ, યુવા પ્રમુખ શ્રી મનોજ ભાઈ ઉપાધ્યાય, ઉત્તર ઝોનના પ્રભારી અને ઉપપ્રમુખ શ્રી રાજુભાઈ રાજગોર અને બનાસકાંઠા ના મજબૂત આગેવાન શ્રી હરગોવિંદભાઈ સિરવાડિયા, સમાજના પૂર્વ પ્રમુખ શ્રી મહેશભાઈ મહેતા, ખજાનચી શ્રી જીગ્નેશભાઈ જોષી, પ્રવક્તા શ્રી વિજયભાઈ પાઠક વગેરે હાજર રહ્યા હતા.

આ કારોબારી સભામાં સમાજ ઉત્થાન માટે ના કાર્યો અંગે વિસ્તૃત ચર્ચા – વિચારણા થઇ હતી. સમાજ દ્વારા ચલાવાતા શૈક્ષણિક એકેડેમી, વિવાહ અને સમાજના છોકરાઓને રોજગારી અંગે પણ વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. હાલમાં નવી થનાર પોલીસ ભરતીમાં મોટા પ્રમાણમાં સમાજના દીકરા – દીકરીઓ ફોર્મ ભરી રજીસ્ટ્રેશન કરાવે તેવી હાકલ કરવામાં આવી હતી.આરોગ્ય માટે ડોક્ટર, કાનૂની મદદ માટે વકીલો, કલા ક્ષેત્રે કલાના વ્યક્તિઓ, સાંસ્કૃતિક ક્ષેત્રે ધાર્મિક વ્યક્તિઓ, મીડિયા અને સોશિયલ મીડિયા માટે પત્રકારો અને એને લગતા વ્યક્તિઓ આ રીતે સમાજના છેવાડા ના વ્યક્તિ સુધી જુદા જુદા પ્રકારની મદદ સમાજને મળી રહે તે માટે 11 જેટલાં સેલની રચના કરવામાં આવી છે.અને જેતે સેલને લગતા રાજ્યથી લઇ તાલુકા કક્ષા સુધી ની નિમણૂકો આપવાની પણ શરૂઆત થઇ ચુકી છે ત્યારે, કારોબારી સભામાં ચારે – ચાર ઝોન ના પ્રભારીઓ, ઉપપ્રમુખો, દરેક જિલ્લાના જિલ્લા પ્રમુખ – મહામંત્રી તેજ રીતે મહિલા અને યુવા પાંખ ના પ્રમુખ અને મહામંત્રી તેમજ મોટાભાગના સેલ ઇન્ચાર્જ સહિત અનેક આગેવાનોની હાજરી સૂચક હતી.

કારોબારી સભા માં સરકાર શ્રીને લગતા બે ઠરાવો કરવામાં આવ્યા તેમાં EWS ની જોગવાઈ આર્થિક – શૈક્ષણિક અને રોજગાર ક્ષેત્રથી વધારીને રાજકીય ક્ષેત્ર સુધી 10%મુજબ પંચાયતો માં પણ આપવામાં આવે તેવી માગણી કરતો ઠરાવ અને માં બાપને દુઃખી કરતા દીકરા – દીકરીઓ માં મા – બાપની સંમતિ કે મરજી સિવાય ભાગીને લગ્ન કરવાનાં કિસ્સાઓમાં માં- બાપ ની સંમતિ ફરજિયાત કરવાની જોગવાઈ કાયદાથી કરવામાં આવે તેને લગતો ઠરાવ કે જે હવે પછી સરકારશ્રીને અધિકૃત રીતે મોકલી આપવામાં આવશે. તેજ રીતે,મધ્યપ્રદેશના એક અધિકારી દ્વારા બોલાયેલા નિમ્ન કક્ષાના શબ્દોને વખોડી કાઢતો ઠરાવ કરી અને આ અધિકારીને યોગ્ય સજા કરવા અંગે પણ ઠરાવ કરવામાં આવ્યો. જે પણ મધ્યપ્રદેશ સરકારને મોકલી આપવામાં આવશે.

આ સિવાય વિજય રિસોર્ટના માલિક શ્રી ભદ્રેશભાઈ પંડ્યા યજમાન તરીકે અંબાજી ગામ બ્રહ્મ સમાજ અને ઉત્તર ઝોન બ્રહ્મ સમાજનો ઠરાવ કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સાથે જુદા – જુદા ક્ષેત્ર માં સમાજની કામગીરી સંભાળતા અને દરેક પ્રોજેક્ટ અને સેલમાં જુદી જુદી જવાબદારી નિભાવતા સંયોજકો અને સહસંયોજકો શ્રી દેવાંગ દવે, શ્રીમતી વિભાબેન ભટ્ટ, શ્રી સંદીપભાઈ ભટ્ટ,શ્રીમતી સ્મિતાબેન દવે, શ્રી હાર્દિકભાઈ પંચોલી વગેરેની કામગીરીને બિરદાવવામાં આવી હતી. સાથે સમગ્ર રાજ્યના 19 જિલ્લા અને 118 તાલુકાઓમાં જિલ્લા કક્ષા સુધી સંગઠન ની કામગીરી પૂર્ણ થયાની માહિતી આપવામાં આવી હતી. આગામી એક મહિનામાં તાલુકા કક્ષા સુધીના સંગઠન અને જુદા જુદા તમામ સેલની સંગઠન રચનાઓને પૂર્ણ કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું. આજની કારોબારી સભામાં સમાજના ગુજરાત ના પ્રમુખ શ્રી શૈલેષ ઠાકર સહીત અંગ્રણીઓએ અલગ અલગ મુદ્દાઓ ની વિસ્તૃત છણાવટ પોતાના સંબોધનમાં કરી હતી. અંતે આભાર દર્શન સાથે બ્રહ્મ ભોજન લઇ કાર્યક્રમ પૂર્ણ થયો હતો.

અત્રે, ઉલ્લેખનીય છે કે સમગ્ર કાર્યક્રમમાં અંબાજી બ્રહ્મ સમાજના આગેવાન અને પત્રકાર દશરથ ભાઈ, જગદીશભાઈ ભાઈ પંડ્યા (સતલાશણ), બકુલેશભાઈ શુક્લ, ઘનશ્યામભાઈ ત્રિવેદી, જનકભાઈ રાવલ, શંકરભાઇ જોષી, વગેરેએ ખુબજ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સમાજના યુવા પ્રમુખ શ્રી મનોજભાઈ ઉપાધ્યાય અને જગદીશ ભાઈએ કર્યું હતું.
આ કાર્યક્રમમાં અંબાજી સરપંચ શ્રીમતી કલ્પનાબેન દવે ખાસ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમની સૌથી આનંદિત વાત એ રહીકે મહિલાઓ અને યુવાનો ખુબ મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાત માંથી આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

