ભારતના લોખંડી પુરુષ અને રાષ્ટ્રીય એકતાના પ્રતીક એવા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ‘સરદાર@૧૫૦ યુનિટી માર્ચ’નું આયોજન કરવામાં આવ્યું છે. તેનો હેતુ તેમના ‘એકીકૃત ભારત’ના વિઝનને વડાપ્રધાનશ્રીના ‘વિકસિત અને આત્મનિર્ભર ભારત’ના મિશન સાથે જોડીને જનભાગીદારીથી સાચા અર્થમાં એક રાષ્ટ્રીય અભિયાન બનાવવાનો છે.
આ પદયાત્રા પંચમહાલ જિલ્લામા આયોજન બાબતે જિલ્લાના પત્રકાર મિત્રોને માહિતગાર કરવાના હેતુથી કલેક્ટર કચેરી સભાખંડ, ગોધરા ખાતે જિલ્લા કલેકટરશ્રી અજય દહિયાની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ યુનિટી માર્ચના જિલ્લામાં આયોજન અંગે ‘પદયાત્રા જિલ્લા આયોજન કમિટી’ની રચના કરવામાં આવી છે.

આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે જિલ્લા સ્તરીય પદયાત્રામાં ગામ/નગરના તમામ નાગરિક, કોલેજ, સહકારી સંસ્થા, સામાજિક સંસ્થા ધાર્મિક સંસ્થા, સામાજિક આગેવાનો, ઔઘોગિક સંગઠનો, ઔઘોગિક એકમો, વાણિજિયક સંગઠન, વાણિજિયક એકમ, સ્વૈચ્છિક સંગઠન વગેરે સક્રિય રીતે જોડાય તેવા પ્રયાસો હાથ ધરાયા છે. જિલ્લાની વિધાનસભા મતવિસ્તારો માટે ‘વિધાનસભા સ્તર પદયાત્રા કમિટી’ની રચના કરવામાં આવી છે. દરેક વિધાનસભા દીઠ એક પદયાત્રાનું આયોજન કરવામાં આવશે, જે ૮ થી ૧૦ કિલોમીટરની હશે. જે માટે તમામ તાલુકાના સંબંધિત પ્રાંત અધિકારીશ્રીઓને નોડલ અધિકારી બનાવવામાં આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.
વધુમાં તેમણે જિલ્લા સ્તરીય પદયાત્રા તથા વિધાનસભા સ્તર પદયાત્રામાં સ્વચ્છતા અભિયાન, સામાજિક કલ્યાણની પ્રવૃતિઓ, આત્મનિર્ભર ભારત, સ્વદેશી મેળાનું આયોજન જેવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે તેમ જણાવી જિલ્લા પદયાત્રાનું આયોજન જિલ્લા વહીવટીતંત્ર (જિલ્લા કલેક્ટર કચેરી) દ્વારા કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. તમામ.આયોજન અને સંકલન માટે જિલ્લા આયોજન સમિતિની રચના કરવામાં આવશે જેના અધ્યક્ષ પ્રભારી મંત્રીશ્રી રહેશે તેમ વધુમાં તેમણે ઉમેર્યું હતું.
આ પ્રેસ કોન્ફરન્સમા લોકસભા સાંસદશ્રી રાજપાલસિંહ જાદવ, રાજ્યસભા સાંસદશ્રી ડૉ.જસવંતસિંહ પરમાર, ધારાસભ્યશ્રી જયદ્રથસિંહ પરમાર અને ફતેસિંહ ચૌહાણ, અગ્રણી શ્રી મયંકભાઇ દેસાઈ, નિવાસી અધિક કલેકટરશ્રી જે.જે.પટેલ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી સહિત બહોળી સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

