પંકજ પંડિત
ભારત સરકાર દ્વારા ૨ જી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિતે સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીનું આહવાન કરવામાં આવ્યું છે. આ વર્ષે સ્વચ્છ ભારત મિશનનાં ૧૧ વર્ષની ઉજવણીના ભાગરૂપે ‘‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૫’’ ને “સ્વચ્છોત્સવ તરીકે ઉજવણી કરાઇ રહી છે.ત્યારે આ ઉજવણીના ભાગરૂપે ઝાલોદ નગરપાલિકા દ્વારા ઠેર-ઠેર સ્વચ્છતા કાર્યક્રમો તથા જન-જાગૃતિની પ્રવૃતિઓ કરવામાં આવી રહેલ છે. “સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” અંતર્ગત ઝાલોદ નગરપાલિકા વિસ્તારના વિવિધ સ્થળોએ સફાઇની કામગીરી હાથ ધરાઇ હતી. આ સાથે જ નાગરિકોમાં જન-જાગૃતિ આવે તે માટે પી.વી.પટેલ ગર્લ્સ હાઈસ્કૂલના સહયોગથી વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા રેલીનું આયોજન કરાયું હતું.જેમાં શાળાઓના બાળકો દ્વારા સ્વચ્છતા જાગૃતિ માટે “સ્વચ્છતા હી સેવા” ના લોગો સાથે સ્વચ્છતા રેલી યોજવામાં આવી હતી. ઝાલોદમા સ્વચ્છતા હી સેવા ૨૦૨૫ અંતર્ગત ચીફ ઓફિસર યોગેશ ગણાત્રાના માર્ગ દર્શન હેઠળ સેનેટરી વિભાગના વૈશાલીબેન અને નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ દ્વારા શાળાઓમાં શાળા પરિસરની સફાઈ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

