પંકજ પંડિત
ખોડિયાર માતા મંદિરમા ની:સંતાન દંપત્તિને સંતાન માતા આપે છે તેવી લોકમાન્યતાઝાલોદ નગરના રામ સાગર તળાવની પાસે પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે આવેલ પૌરાણિક ખોડિયાર માતાનું મંદિર નગરમાં સનાતન ધર્મ સાથે જોડાયેલ લોકોમાં વિશેષ આસ્થા ધરાવે છે. આ મંદિરની સેવા પૂજા વર્ષો થી પુરાણી પરિવાર દ્વારા કરવામાં આવી રહેલ છે. હાલના મંદિરના પુજારી હિતેન્દ્ર પુરાણીના જણાવ્યા મજૂબ આ મંદિર ખૂબ પ્રાચીન છે તેમજ અહીંયા ખોડિયાર માતાજીની સ્થાપના અંદાજીત 150 વર્ષ ઉપરાંત થી થયેલ હોવાની પૂર્વજો દ્વારા જાણવા મળેલ છે. તેઓના કહ્યા મુજબ આ મંદીરની મૂર્તિ હાલ જે ખોડિયાર માતાનું મંદિર આવેલ છે તેના પાછળ આવેલ કૂવા માથી મળી આવેલ હતી ત્યાર બાદ તે સમયના નગરના સનાતન ધર્મ સાથે જોડાયેલ લોકો દ્વારા આ મૂર્તિની સ્થાપના એક નાની ડેરી બનાવી કરવામાં આવી હતી.ઝાલોદ નગરમાં આવેલ આ ખોડિયાર માતાના મંદિરે ભક્તો મોટા પ્રમાણમાં આવતા જતા હોય છે પરંતુ મધ્યપ્રદેશમા આવેલ એક ગામના યુવકને નગરનું રામ સાગર તળાવ, ખોડીયાર માતાનું મંદિર, મંદિરનો મુખ્ય દરવાજો તેમજ ખોડિયાર માતાજીની પૌરાણિક પ્રતિમા અવારનવાર સપનામાં આવતી હતી તેથી આ પરિવાર દ્વારા શોધખોળ કરી અને આખરે ઝાલોદ નગરમાં આવતા તેણે મંદિરના મહંતને પોતાના સપનાં વિશે કહ્યું અને આ મૂર્તિ અમારી કુળદેવી છે તેમજ કોઈ ચોર કે લુટેરા આ પ્રતિમા ચોરી લાવ્યા હસે અને તેઓ એ અહીંના કૂવામાં નાખી દીધી હસે તેવું મહંત સાથે વાર્તાલાપ દરમ્યાન જાણવા મળેલ હતું તેમજ મધ્યપ્રદેશના લોકો હજુ પણ અહીંયા અવારનવાર દર્શનાર્થે આવતા હોય છે અને માતાજીના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવે છે.આ મંદિરના ચાચર ચોકમાં માતાજી નવરાત્રિ દરમિયાન ગરબા રમવા આવતા હોવાની લોકમાન્યતા પણ પ્રચલિત છે તેમજ નવરાત્રિ દરમ્યાન મંદિરની અંદર માતાજીના ઝૂમર જાતે ફરતા હોવાનું પણ જાણવા મળેલ છે. આ મંદિરમાં સાક્ષાત માતાજી બિરાજમાન હોવાના પુરાવા આપતા નગરજનોનુ કહેવુ છે કે રાત્રી દરમ્યાન મંદિરના દરવાજા બંધ હોય છે ત્યારે ઘૂંઘરુની રણકાર સાંભળ્યા હોવાનું લોકો કહે છે તેમજ પૌરાણિક સમયમાં નાગ નાગણનુ જોડું ખોડીયાર માતાની પ્રતિમાની સાથે રહેતું હતું તેમજ તે સમયે માતાજીના દર્શનાર્થે આવતા શ્રધ્ધાળુઓ પણ નિર્ભય બની દર્શન કરતા હોવાનું જાણવા મળેલ છે.સમય જતાં આ મંદિર પર નગરજનોની આસ્થા અને શ્રદ્ધા વધતા આ મંદિરનું ભવ્ય નવ નિર્માણ કરવામાં આવ્યું હતું અને આ મંદિરના નવ નિર્માણ કરાતા 1995 મા ખોડિયાર માતાની મોટી પ્રતિમા અને 2000 માં અંબે માતાજીની મોટી પ્રતિમાનું સ્થાપન કરવામા આવ્યું હતું.આ મંદિર માંથી પ્રતિ વર્ષ પગપાળા અંબાજી યાત્રા સંઘ તેમજ નવરાત્રિ દરમિયાન હવન પૂજા અને મહા પ્રસાદીનુ આયોજન કરવામાં આવતું હોય છે. આ મંદિરના વિકાસના કોઈ પણ કાર્ય માટે નગરજનો તન મન ધન થી સાથ સહકાર આપતા રહેતા હોય છે. આ મંદિર માટે લોક વાયકા મુજબ ની:સંતાન દંપતિને સંતાનની પ્રાપ્તિ થતી હોય છે તેમજ મનોકામના પૂર્ણ થયે અક્ષત ચઢાવવામા આવતા હોવાનું જાણવા મળે છે. આ મંદિરમા દર્શન કરવા દૂર દૂર થી લોકો આવતા હોય છે તેમજ માતાજીના દર્શન અને આશીર્વાદ મેળવી ભાવિક ભક્તો પોતાને ધન્ય માનતા હોય છે.

