પંકજ પંડિત
હિન્દુ સમાજ, ઘાંચી સમાજ ,વ્હોરા સમાજ દ્વારા બંધના એલાનને સંપૂર્ણ સમર્થન આપવામાં આવ્યુંભારતના જમ્મુ કાશ્મીર સ્થિત પહલગામની બૈસરન ખીણમાં પાકિસ્તાન સમર્થિત ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા ધર્મ અને જાતિ પૂછી છબ્બીસ જેટલા હિન્દુઓની બર્બરતા પૂર્વક જે હત્યા કરવામાં આવી તેના વિરોધમાં આખા ભારત દેશમાં રોષ ફાટી નીકળેલ હતો. દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં 25-04-2025 ના રોજ આતંકવાદીઓએ હિન્દુઓ ને ક્રૂરતા પૂર્વક જાણી ને જે હત્યા કરી છે તે આતંકવાદને વખોડવા ઝાલોદ નગર બંધનું આહ્વાન હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા આપવામાં આવ્યું હતું.આજના બંધના આહવાનને ઝાલોદ નગરજનોએ સ્વેચ્છાએ વધાવી લેતા આખું નગર સંપૂર્ણ બંધ રહેલ હતું. આજે સવારે 10 કલાકે મુવાડા રામજી મંદિર થી હિન્દુ એકતા દર્શાવવા માટે એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ બાઈક રેલીમાં મોટા પ્રમાણમાં નગરજનો જોડાઈ સુંદર સહકાર આપી હિન્દુ એકતાનો સુંદર પરિચય આપ્યો હતો. ઝાલોદ બસ સ્ટેશન વિસ્તારમાં પાકિસ્તાન દ્વારા જે ભારતમાં આતંકવાદ ફેલાવવામાં આવી રહેલ છે તેના રોષ સ્વરૂપે પાકિસ્તાનના ધ્વજ રોડ પર પાથરવામા આવ્યો હતો અને લોકોએ આક્રોશ રૂપે આ આતંકવાદી દેશના ધ્વજ પર મોટર સાયકલ તેમજ વાહનો ચલાવ્યા હતા. તેમજ હિન્દુ સંગઠનોમા રોષ વધુ આકરો બનતા પાકિસ્તાનના ધ્વજને બાળીને પાકિસ્તાન હાય હાયના નારા લગાવ્યા હતા.
ઝાલોદ મુસલમાન ઘાંચી સમાજ દ્વારા પણ આ આતંકવાદી કૃત્યને સખત શબ્દોમાં વખોડવામા આવ્યું હતું.મુસલમાન ઘાંચી સમાજ દ્વારા ઝાલોદ પ્રાંત અધિકારીનેને એક આવેદનપત્ર આપી આતંકવાદ ફેલાવનાર તત્વો સામે કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી. ઝાલોદ ડોક્ટર તેમજ મેડિકલ એસોસિએશન દ્વારા પણ આતંકવાદના વધતા સ્વરૂપનો વિરોધ કર્યો હતો. તેમજ વડબજાર થી એક રેલી કાઢી આતંકવાદમા માર્યા ગયેલ પરિવારજનોને ન્યાય મળે તે માટે માંગ કરી હતી તેમજ ભારત દેશમાં થતા આતંકવાદી હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો.ઝાલોદ હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા સાંજે ચાર કલાકે આતંકવાદી હુમલામાં નિર્દોષ હિન્દુઓ જે શહિદ થયેલ છે તેઓના આત્માને શાંતિ મળે તેમજ પરિવારના માથે પોતાના સ્વજન છીનવાઈ ગયેલ છે તેના દુખ વ્યક્ત કરતા વિવિધ બેનર પોસ્ટર સાથે ભરત ટાવર થી એક પૈદલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે રેલી ભરત ટાવર થી બસ સ્ટેશન, આંબેડકર ચોક ,મોચી દરવાજા, શહિદ રાજેશ ચોક ,ગીતા મંદિર, કોળિવાડા, મીઠાચોક, રામ સાગર તળાવ, સોમનાથ મહાદેવ મંદિર, લુહારવાડા, વડબજાર થઈ ભરત ટાવર પર પૂર્ણ કરવામાં આવી હતી. રેલી બાદ ભરત ટાવર પર મૃતક આત્માને શાંતિ મળે તે માટે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારબાદ મૃતક આત્માને શ્રદ્ધાંજલિ આપી છેલ્લે આતંકવાદના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. આખા દિવસ દરમિયાન પહલગામમા જે નિર્દોષ હિન્દુઓ આતંકવાદ ને લઈ મૃત્યુ પામેલ છે તેનો રોષ નગરજનોમા જોવા મળતો હતો. નગરજનોમા આતંકવાદી પ્રવૃત્તિ કરતા પાકિસ્તાન સમર્થિત ઇસ્લામિક આતંકવાદીઓને જલ્દીમા જલ્દી સજા મળે તેવી માંગ કરેલ હતી. દિવસભર ચાલેલા આક્રોશ રૂપના પ્રોગ્રામમાં પોલિસ તંત્ર પણ એલર્ટ થઈ ગયેલ હતું તેમજ નગરમાં સતત પેટ્રોલીંગ તેમજ અલગ અલગ વિસ્તારોમાં પોલિસ પોઇન્ટ મૂકી કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટેની પોલીસ તંત્રની ભૂમિકા પણ સુંદર જોવા મળતી હતી.

