કિસાનોને સસ્તું અને સરળ કેડિટ ઉપલબ્ધ કરાવવા માટે સરકારની નવી પહેલસુધારેલી વ્યાજ સહાય યોજના હેઠળ લોન મર્યાદા ₹3 લાખથી વધારી ₹5 લાખ કરાઈ
દાહોદ : કેન્દ્રીય બજેટ 2025-26 માં ભારતના અન્નદાતાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેનાથી સરકારની કૃષિ વિકાસ અને ઉત્પાદન ક્ષમતામાં વધારો લાવવાની પ્રતિબદ્ધતા સ્પષ્ટ થાય છે. કૃષિને દશ મુખ્ય વિકાસક્ષમ ક્ષેત્રોમાં સામેલ કરવામાં આવ્યું છે, જે ભારતની આર્થિક પ્રગતિને વેગ આપતું એક મહત્વપૂર્ણ એન્જિન છે.
બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન લીમખેડા, દાહોદ ખાતે જિલ્લા”કૃષિ અને ગ્રામિણ સમૃદ્ધિ પર બજેટ બાદનો વેબિનાર” (Post-Budget Webinar on Agriculture & Rural Prosperity) યોજાયો હતો, જેમાં કેન્દ્ર બજેટ 2025-26 ની ઘોષણાઓના અમલ પર ચર્ચા કરવામાં આવી હતી. ઉદ્ઘાટન ભાષણ માનનીય પ્રધાનમંત્રી દ્વારા આપવામાં આવ્યું હતું અને કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ (DoA&FW) ના વિવિધ વિભાગોના સચિવોએ અધ્યક્ષતા કરી હતી.
આ વેબિનારમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ (DoA&FW), RBI, NABARD, અનુસૂચિત વાણિજ્ય બેંકો (SCB), પ્રાદેશિક ગ્રામિણ બેંકો (RRB), રાજ્ય સહકારી બેંકો (StCB), જિલ્લા કેન્દ્રિય સહકારી બેંકો (DCCB), રાજ્ય સ્તરીય બેંકર્સ સમિતિઓ (SLBC), કૃષિ વિકાસ કેન્દ્રો (KVK) અને દેશભરના ખેડૂતો જોડાયા હતા.
આર્થિક સર્વેક્ષણ 2024 મુજબ, 31 માર્ચ 2024 સુધીમાં 7.75 કરોડ કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) ખાતાઓ છે. અલ્પકાળ માટેની લોનની જરૂરિયાતો પૂરી કરીને KCC યોજના એ કૃષિ ઉત્પાદન ક્ષમતા વધારવા અને ખેડૂતોની આવક વધારવા માટે મહત્વપૂર્ણ બની છે. KCC-સુધારેલી વ્યાજ સહાય યોજના (KCC-MISS) હેઠળ 4% ની અસરકારક અનુદાનિત વ્યાજ દર પર ખેડૂતોને લોન આપવામાં આવે છે.
કિસાનોને સસ્તું અને સરળ લોન સુલભ થાય તે સુનિશ્ચિત કરવા માટે, RBI એ બિન-જામીનવાળી KCC લોન મર્યાદા ₹1.6 લાખથી વધારી ₹2 લાખ કરી છે. વધુમાં, કેન્દ્રીય બજેટ 2025-26 હેઠળ સુધારેલી વ્યાજ સહાય યોજના (MISS) હેઠળ લોન મર્યાદા ₹3 લાખથી વધારી ₹5 લાખ કરી દેવામાં આવી છે.
આ પગલાંથી નાના અને સીમાંત ખેડૂતો પર નાણાકીય ભાર ઓછો થશે અને કૃષિ ક્ષેત્રમાં વધુ રોકાણ માટે પ્રોત્સાહન મળશે. ખેતી ઉત્પાદન, બાગાયત, પશુપાલન અને માછીમારી માટે જરૂરી વર્કિંગ કેપિટલની વધતી જતી જરૂરિયાતોને પૂરી કરવામાં આ પગલું ખૂબ મદદરૂપ થશે. સરકારે પાછલા દાયકાઓ દરમિયાન MISS યોજના હેઠળ ખેડૂતોને ₹1.44 લાખ કરોડની સહાય પૂરી પાડી છે.
આ પહેલ દ્વારા, કૃષિ ક્ષેત્રમાં ટૂંકા ગાળાના લોનને 2023-24 ના ₹9.81 લાખ કરોડથી વધારી 2029-30 સુધીમાં ₹20 લાખ કરોડ સુધી પહોંચાડવાનો સરકારનું લક્ષ્ય છે, આ પહેલ થકી સરકાર ન માત્ર ગ્રામિણ વિસ્તારોમાં લોનની સુલભતા વધારી રહી છે, પરંતુ ખેડૂતોને નાણાકીય સ્વતંત્રતા પણ આપી રહી છે. જેમ જેમ આ પહેલ સમગ્ર દેશમાં અમલમાં આવશે, તેમ તે કૃષિ લોન સિસ્ટમમાં નવો દ્રષ્ટિકોણ લાવશે, જેથી જેઓ સમયસર અને સસ્તા લોન માટે સૌથી વધુ પાત્ર છે, તેમને તેનું લાભ મળી શકે.આ વેબીનાર દરમ્યાન શ્રી જે એસ પરમાર લીડ બેન્ક મેનેજર, શ્રી બિસ્વનાથ પ્રસાદ ડાયરેક્ટર આર-સેટી, શ્રી મહેન્દ્ર ભાઇ ઓફિસર મત્યસ ઉધોગ વિભાગ, ડો. યામિની નાયક વેટરનરી ઓફિસર લીમખેડા, ડો. કમલેશ વેટરનરી ઓફિસર સીંગવડ, પશુપાલન વિભાગ તેમજ મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ બહેનોએ ભાગ લીધો હતો.

