ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન થવાનું છે ત્યારે રાજ્ય ચૂંટણીપંચે અને તંત્રએ ચૂંટણીઓની તૈયારીઓ કરી લીધી છે. મતદાન EVM દ્વારા આવતીકાલે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી થશે. 18 ફેબ્રુઆરી 2025ના રોજ મત ગણતરી કરવામાં આવશે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા 21 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થશે.
નગરપાલિકાની 167 બેઠક બિનહરીફ જાહેર
66 નગરપાલિકાના 461 વોર્ડમાંથી 24 વોર્ડ સંપૂર્ણ બિનહરીફ જાહેર થયા છે. જયારે નગરપાલિકાની 1,844 બેઠકોમાંથી 167 બેઠક બિનહરીફ જાહેર થઈ છે. એટલે કુલ 1,677 બેઠકો પર ચૂંટણી થશે. સાથે જ પાલિકાની ચૂંટણી માટે કુલ 4,374 ઉમેદવારો મેદાને છે.
નગરપાલિકા, મહાનગરપાલિકાની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરી રવિવારે મતદાન થવાનું છે. ત્યારે માહિતી અનુસાર, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 213 બેઠક બિનહરીફ વિજેતા જાહેર થઈ ચુકી છે. ચૂંટણી માટે કુલ 7,036 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 1,261 ઉમેદવારી પત્ર અમાન્ય જાહેર થયા. તો 5,775 ઉમેદવારી પત્ર માન્ય થયા. સાથે જ કુલ 213 બેઠકો પર બિનહરીફ વિજેતા જાહેર થયા છે. આમ હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કુલ 5,084 ઉમેદવારો મેદાનમાં છે.

