પંકજ પંડિત
આજરોજ તારીખ 03-10-2024 ગુરુવાર એટલે આસો સુદ એકમ નવરાત્રીનો પ્રથમ દિવસ ગણાય છે. શાસ્ત્રોમાં નવરાત્રીના નવ દિવસમા માઁ જગદંબાના વિવિધ સ્વરૂપોની પૂજા અર્ચના કરવાથી માઁ જગદંબાની વિશેષ કૃપા ભક્તો પર બની રહે છે. આજના નવરાત્રિના પ્રથમ દિવસે નગરના સહુથી પૌરાણિક મંદિર એવા ખોડિયાર માતાના મંદિરે માઈ ભક્તો મોટા પ્રમાણમાં દર્શનાર્થે ઉમટયા હતા.
આજના વિશેષ દિવસે ખોડિયાર માતાના મંદિરે માતાનો વિશેષ શણગાર મનને મોહી લે તેવો હતો. ઉપસ્થિત સહુ લોકોએ માતાના દિપ પ્રાગટ્ય કરી ખોડીયાર માતાની મહાઆરતી કરી હતી. ત્યારબાદ માતાની ધ્વજાની પૂજા અર્ચના કરી ઢોલ નગારા સાથે વાજતે ગાજતે બોલ માડી અંબે જય જય અંબેના ગગનભેદી નારા સાથે માતાના મંદિરના શિખર પર ધ્વજા આરોહણ કરવામાં આવી હતી. માતાની ધ્વજા આરોહણ કર્યા બાદ માતાના મંદિરના ચાચર ચોકમાં ગરબાની રમઝટ બોલાવી હતી. આખું મંદિર પરિસર માતા જગદંબાના જય જય જયકાર સાથે ગુંજી ઉઠયું હતું.

