ગોધરામાં વર્ષ ૨૦૧૪ માં ટ્રાવેલ્સના ધંધામાં મારામારી થયાના ગુના કર્યાના 10 વર્ષ બાદ ગોધરા કોર્ટે 9 આરોપીઓને 4 વર્ષની સજા ફટકારીને વડોદરા ખાતેની જેલમાં મોકલી આપ્યા છે. ગોધરાના 9 ઇસમોને મારામારીમાં સજા થયાની ચર્ચા ટોક ઓફ ધી ટાઉન બની હતી. વર્ષ 2014ના મેની 28 મધરાત્રીના સમયે આરોપીઓ એકજુઠ થઈને ગેરકાયદેસર મંડળી રચી કાર અને બાઇકો પર ગોધરાના જુના બસ સ્ટેન્ડની સામે આવેલ શંકર લોજ પર આવ્યા હતા. લોજના કાઉન્ટર પર બેઠેલા સતિષ પરમાનંદ હરવાણીને ટ્રાવેલ્સમાં બુકીંગ સંબધે માથાકુટ કેમ કરેલ તેમ કહીને સુનિલ લાલવાણીએ સતિષભાઈને ધોલો અને અશોક લાલવાણીએ બેઝબોલનો ડંડો માર્યો હતો. તેમજ બાકીના 7 ઇસમોએ સતિષભાઈને ગડદાપાટુનો માર માર્યો હતો. સુરેશ દેરાઈ તથા સુનીલ લાલવાણીનાઓ જાનથી મારી નખવાની ધમકી આપીને ગેરકાયદેસર મંડળી રચીને હથિયારોથી હુમલો કર્યો હોવાની 9 સામે શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોધાઈ હતી. પોલીસે તપાસ કરીને કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. ગોધરાના એડિશનલ જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં કેસ ચાલી જતા વકીલની દલીલો તથા પુરાવાને ગ્રાહ રાખીને તક્સીરવાન ઠેરવ્યા હતા. કોર્ટે હાલના નગર પાલિકાના ઉપપ્રમુખ સુનીલ જમનદાસ ખેમચંદ લાલવાણી, ગોધરા રેડક્રોસ સો.ના વાઈસ ચેરમેન અને પંચમહાલ ભાજપ વ્યાપારી સેલના સભ્ય સુરેશ દેરાઈ, અનિલ લાલવાણી, અશોકકુમાર લાલવાણી, ભાવેશ ફટવાણી, ચમનભાઈ કલવાણી, મનીષ લાલવાણી, જીતુભાઈ લાલવાણી તથા મનોજભાઈ ગોવરાણીને 4 વર્ષની સાદી સજાનો હુક્મ કરતા તમામ 9 આરોપીઓને વડોદરા ખાતેની જેલમાં મોક્લી દીધા છે.

