સંકેત પંડ્યા – એડિટર
છેલ્લા પાંચ દિવસથી મહીસાગર જીલ્લામાં માજી સૈનિક સંગઠન પોતાના પરિવાર સાથે માજી સૈનિક ઉપર હુમલો કરાતા ન્યાય મેળવવા માટે કોઠંબા પોલીસ મથક અને લુણાવાડા એસપી કચેરીએ ધરમના ધક્કા ખાઈ રહ્યા છે. નમનાર ગામે માણસોનું ટોળું લઈ આવી નિર્દોષ વ્યક્તિઓને મારમારી ઉપરથી પોલીસ સાથે સાંઠગાંઠ કરી 307 જેવી કલમ દાખલ કરાતા મહીસાગર જિલ્લા માજી સૈનિક સંગઠન દ્વારા લુણાવાડા એસપી કચેરીએ રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
લોકમુખે થતી ચર્ચાઓ મુજબ સંજય બારીયા દ્વારા રાજકીય વગના આધારે બે મહિના પહેલા કોઠંબા પોલીસ મથકના પીએસઆઇ ની ચાર જ માસમાં બદલી કરાવી પોતાના માનીતા પીએસઆઇ ને લાવી મનમાની કરાઈ હોવાનું ચર્ચા રહ્યું છે. સાંસદ દ્વારા અથાક પ્રયત્નો કરવા છતાં પીએસઆઇની બદલી થઇને રહી હતી. બદલી કરાવનાર રાજકીય ગોડફાધર કોણ? તેની પણ ચર્ચાઓ ચાલી રહી છે.

નમનાર ગામના વતની માજી સૈનિક રાઠોડ રણજીતસિંહ ગલસિંહ અને રાઠોડ મોહનસિંહ ગલસિંહ ઉપર ભાજપના અગ્રણી અને માજી તાલુકા પંચાયત પ્રમુખ સંજય બારીયા દ્વારા ત્રણ ગાડીઓ ભરી લગભગ પચાસેક માણસોનુ ટોળું લઈ આવી જીવલેણ હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી.સંજય બારીયા દ્વારા રાજકીય લાગવગ લગાવી કોઠંબા પીએસઆઇ ની સાથે સાંઠગાંઠ ધરાવતા હોવાથી માજી સૈનિક બંને ભાઈઓને ખોટી રીતે કલમો લગાવી કોઠંબા જેલમાં પુરાવી દેતા ચકચાર મચી જવા પામી હતી.
બંને પક્ષે કોઠંબા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પરંતુ પોલીસે એક તરફી નિર્ણય લઇ બંને ભાઈઓની ધરપકડ કરી સંતરામપુર જેલ ખાતે ધકેલી દીધા હતા નિર્દોષ માજી સૈનિકોને ખોટી રીતે જેલમાં ધકેલી દેવાતા મહીસાગર જિલ્લાના માજી સૈનિક સંગઠન દ્વારા ન્યાય મેળવવા માટે તમામ માજી સૈનિકો તેમની પત્નીઓ સાથે કોઠંબા પોલીસ મથક અને જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે રેલી કાઢી આવેદનપત્ર આપી સંજય બારીયાની તાત્કાલિક ધરપકડ કરવાની ઉગ્ર માગણી કરી જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું હતું.

