સંકેત પંડ્યા – એડિટર
રાહુલ ગાંધીની સદસ્યતા રદ્દ કરવાના મામલે વિરોધમાં કોંગ્રેસ આજે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી રાજઘાટ પર ધરણા પર બેઠા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓ સત્યાગ્રહમાં સામેલ છે. જો કે દિલ્હી પોલીસે રાજઘાટ પર સત્યાગ્રહની પરવાનગી આપી નથી. કોંગ્રેસના કાર્યકરો દિલ્હી સહિત દેશભરમાં રાજ્ય અને જિલ્લા મુખ્યાલયો પર પ્રદર્શન કરી રહ્યા છે.
પોલીસની મંજૂરી નહીં તેમ છતા સત્યાગ્રહ શરૂ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા રદ કરવા અને સુરત કોર્ટ દ્વારા બે વર્ષની સજાના વિરોધમાં આજે દિલ્હીના રાજઘાટ ખાતે કોંગ્રેસ દ્વારા સત્યાગ્રહનું આયોજન કરવામાં આવ્યું છે. દિલ્હીના રાજઘાટ પર કોંગ્રેસના સત્યાગ્રહ માટે દિલ્હી પોલીસે પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો. આમ છતાં કોંગ્રેસે સત્યાગ્રહ શરૂ કર્યો છે. એક પત્રમાં દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થા અને ટ્રાફિકના કારણો અને રાજઘાટ અને તેની આસપાસ કલમ 144 CrPC હેઠળ પ્રતિબંધિત આદેશોને કારણે વિનંતીને નકારી કાઢવામાં આવી હતી. જો કે કોંગ્રેસની કામગીરીને જોતા પોલીસે પુરતો બંદોબસ્ત ગોઠવી દીધો છે.
કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ રહ્યા હાજર
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, જયરામ રમેશ, કેસી વેણુગોપાલ અને અન્ય નેતાઓ સત્યાગ્રહ માટે રાજઘાટ પહોંચ્યા છે.કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ફરી એકવાર ભાજપ પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું, ‘ભાજપ રાહુલ ગાંધીને બોલવા નથી દેતું. રાહુલ ગાંધી દેશ અને લોકોના અધિકારો માટે લડી રહ્યા છે અને અમે લડતા રહીશું. રાજઘાટ પર કોંગ્રેસના એક દિવસીય ‘સંકલ્પ સત્યાગ્રહ’ વચ્ચે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ઘરની બહાર સુરક્ષા જવાનોની તૈનાતી વધારી દેવામાં આવી છે.

