અમદાવાદ જિલ્લાના જેતલપુર બારેજા રોડ પર આવેલી UGVCLની કચેરીમાં ગત મોડી રાતે તસ્કરોએ રૂ. 1.14 લાખની રોકડ રકમની ચોરી કરી રહી. ચોરી કરતા પહેલા તસ્કરોએ બે સિક્યોરિટી ગાર્ડને બાથરૂમમાં પૂરી દીધા હતા. જોકે બંને સિક્યોરિટી ગાર્ડ બાથરૂમનો દરવાજો તોડી બહાર આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.
સિક્યોરિટી ગાર્ડ સાથે ચાર જેટલા શખ્સોએ મારામારી કરી
મીડિયા રિપોર્ટ મુજબ, યુજીવીસીએલ ખાતામાં ડ્યૂટી કરનારા સિક્યોરિટી ગાર્ડે નાયબ ઇજનેર ફોન કરી આ ચોરીની ઘટના અંગે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, મોડી રાતે ચાર જેટલા શખ્સો આવ્યા હતા અને બંને સિક્યોરિટી ગાર્ડ સાથે મારામારી કરી બાથરૂમમાં પૂરી દીધા હતા. જોકે થોડીવાર બાદ સિક્યોરિટી ગાર્ડ દ્વારા બાથરૂમનો દરવાજો તોડવામાં આવ્યો હતો. બહાર આવીને સિક્યોરિટી ગાર્ડે જોયું તો તસ્કરોએ તિજોરીનું તાળું તોડ્યું હતું અને તિજોરીમાંથી રૂ. 1.14 લાખની રોકડની ચોરી કરી હતી.
ઓફિસમાં તોડફોડ કરી ફરાર થયા
ઉપરાંત ઓફિસમાં તોડફોડ કરી પંખા, કોમ્પ્યુટર, પ્રિન્ટરને નુકસાન પહોંચાડ્યું હતું. આ ઘટના અંગે સિક્યોરિટી ગાર્ડ દ્વારા નાયબ ઇજનેરને ફોન કરી જાણ કરવામાં આવી હતી, જેથી તેઓ પણ ત્યાં પહોંચ્યા હતા અને ચોરીના બનાવ અંગે સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસને કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ફરિયાદ દાખલ કરી ગુનો નોંધી તસ્કરોની શોધખોળ હાથ ધરી છે. નોંધનીય છે કે, અમદાવાદ શહેર અને જિલ્લામાં ચોરીની ઘટનાઓમાં વધારો થયો છે ત્યારે પોલીસ દ્વારા પણ આ અંગે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

