મહેસાણાથી એક મોટા સમાચાર આવ્યા છે. મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરાયા છે. આત્મહત્યાના કેસમાં દુષ્પ્રેરણાની ફરિયાદની તપાસના મામલે આ કાર્યવાહી કરવામાં આવી હોવાના સમાચાર છે.
મીડિયા રિપોર્ટ મુજબ, મહેસાણામાં એક યુવકને વ્યાજખોરો દ્વારા ગેરકાયદેસર રીતે વધુ વ્યાજ વસૂલવા માટે વારંવાર હેરાન-પરેશાન કરવામાં આવતો હતો. આ સાથે યુવકને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવા આવતી હતી. આથી વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને યુવકે આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યું હતું. આ અંગે યુવકના પરિવારે વ્યાજખોરો સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી.
જોકે આ કેસમાં મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરે વ્યાજખોરો વિરુદ્ધ તપાસમાં બેદરકારી દાખવી હોવાનું જણાયું હતું. આ અંગે ઉચ્ચે કક્ષાએ જાણ થતા પોલીસ ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરી બંનેને સસ્પેન્ડ કરાયા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વ્યાજખોરોનો ત્રાસ સતત વધી રહ્યો છે. ત્યારે રાજ્યમાં કેટલાક શહેરમાં પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ અને લોક દરબારનું આયોજન કરી વ્યાજખોરોના ત્રાસથી પીડિત લોકો સાથે રૂબરૂ મુલાકાત લઈ વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

