શનિવારે મોડી રાત્રે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં રાજ્ય ધોરીમાર્ગ પર ટ્રેલર ટ્રક સાથે કારની ટક્કર થઈ હતી. ટ્રક સાથે કારની ટક્કર થતા સર્જાયેલા આ અકસ્માતમાં કારમાં સવાર ઓછામાં ઓછા ચાર લોકોએ જીવ ગુમાવ્યા હતા.
થરા પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર મહેશ દેસાઇએ જણાવ્યું હતું કે, સાંતલપુર-પાલનપુર હાઇવે પર રાણકપુર ગામ નજીક રાત્રે લગભગ 11 વાગ્યે આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માતની તપાસ શરુ કરી દીધી હતી.
અકસ્માતમાં ચારના મોત
અકસ્માતની પ્રાથમિક તપાસ બાદ પોલીસ અધિકારીએ જણાવ્યું કે કારે ટ્રેલરને પાછળથી ટક્કર મારી હતી. પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, આ ભયાનક અકસ્માતમાં આ કારમાં સવાર ચારેયના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલા ચારેય લોકોની ઓળખ રામચંદ્ર વાઘેલા, યોગેન્દ્ર વાઘેલા, શિવરાજસિંહ વાઘેલા અને ભાવિક શાહ તરીકે થઈ હતી.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે તમામ મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. અકસ્માતમાં પોતાના પરિજનોના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે.

